જો તમે અવારનવાર વિમાનમાં મુસાફરી કરો છો અથવા વેકેશન માટે ફ્લાઈટ બુક કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે ખુશખબર છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ એરલાઇન કંપનીઓની દાદાગીરી રોકવા અને મુસાફરોને આર્થિક નુકસાનથી બચાવવા માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. હવેથી ટિકિટ કેન્સલ કરાવવી કે નામમાં સુધારો કરવો મુસાફરો માટે માથાનો દુખાવો નહીં રહે, કારણ કે DGCA એ રિફંડ પ્રક્રિયાને અત્યંત પારદર્શક અને ગ્રાહક-લક્ષી બનાવી દીધી છે.
ઘણીવાર એવું બનતું હતું કે મુસાફર ટિકિટ કેન્સલ કરે ત્યારે એરલાઇન્સ ‘નોન-રિફંડેબલ’ ટિકિટનું બહાનું કાઢીને પૂરેપૂરી રકમ રાખી લેતી હતી. પરંતુ હવે નવા નિયમ મુજબ, ભલે તમારું મૂળ ભાડું રિફંડપાત્ર ન હોય, પણ એરલાઇન્સે તમામ કાનૂની કર અને એરપોર્ટટે ફી ફરજિયાતપણે પરત કરવાની રહેશે. આ નિયમ પ્રોમો કોડ કે ડિસ્કાઉન્ટ વાળી ટિકિટો પર પણ લાગુ પડશે. જો તમે ફ્લાઈટ ચૂકી જશો, તો પણ આ ટેક્સ રિફંડ મેળવવો તમારો હક રહેશે.
બુકિંગ કરતી વખતે ઉતાવળમાં તારીખ કે સમય ખોટો નખાઈ જાય તો હવે ગભરાવાની જરૂર નથી. DGCA એ ‘લુક-ઈન’ વિકલ્પ આપ્યો છે, જે મુજબ બુકિંગના ૪૮ કલાકની અંદર તમે ટિકિટ રદ કરો કે તેમાં ફેરફાર કરો, તો એરલાઇન કોઈ વધારાનો ચાર્જ વસૂલી શકશે નહીં. જોકે, આ સુવિધાનો લાભ લેવા માટે ડોમેસ્ટિક ફ્લાઈટના કિસ્સામાં મુસાફરીના ૭ દિવસ પહેલા બુકિંગ થયેલું હોવું જોઈએ. આ ઉપરાંત, નામની જોડણીમાં ભૂલ હોય તો ૨૪ કલાકમાં મફત સુધારો કરી શકાશે.
DGCA એ રિફંડ માટે પણ સમયમર્યાદા નક્કી કરી દીધી છે. જો તમે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યું હશે, તો કેન્સલેશનના ૭ દિવસમાં તમારા ખાતામાં પૈસા આવી જવા જોઈએ. જો એજન્ટ કે ઓનલાઈન પોર્ટલ દ્વારા બુકિંગ હશે, તો ૧૪ દિવસમાં રિફંડ આપવાની જવાબદારી એરલાઇનની રહેશે. સૌથી મહત્વની વાત એ છે કે, એરલાઇન્સ તમને રિફંડને બદલે ‘ક્રેડિટ શેલ’ (ભવિષ્યમાં મુસાફરી માટે ક્રેડિટ) લેવા માટે મજબૂર કરી શકશે નહીં; પૈસા પાછા લેવા કે ક્રેડિટ રાખવી તે માત્ર મુસાફરનો નિર્ણય રહેશે.
આ નવા નિયમો ૨૬ માર્ચ, ૨૦૨૬ થી અમલમાં આવશે. આ ફેરફારથી ભારતનો હવાઈ પ્રવાસ વધુ સુરક્ષિત અને ભરોસાપાત્ર બનશે, જેમાં મુસાફરના હિતોને સર્વોપરી રાખવામાં આવ્યા છે.
