રાજયમાં અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને સૂર્યનારાયણ પ્રકોપ દેખાડી રહ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક ચોંકાવનારી વાત કરતા જણાવ્યું છે કે, આ વર્ષે ઉનાળાની સીઝનમાં જ ચોમાસા જેવો માહોલ જોવા મળી શકે છે. માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં રાજયના અનેક ભાગોમાં કમોસમી વરસાદ (માવઠું) પડવાની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, ૧૬ થી ૨૦ માર્ચ અને ત્યારબાદ ૨૪ માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીને કારણે રાજયના વાતાવરણમાં પલટો આવશે. આ દરમિયાન માત્ર પવન જ નહીં, પરંતુ ગાજવીજ સાથે વરસાદ અને ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના છે.
એક તરફ વરસાદની આગાહી છે, તો બીજી તરફ ગરમી પણ પોતાનું જોર બતાવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે-ત્રણ દિવસમાં તાપમાનમાં ૩ થી ૫ ડિગ્રીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને અમદાવાદમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા વાતાવરણને કારણે ‘યલો એલર્ટ’ પણ જાહેર કરવામાં આવ્યું છે.
