ઉત્તરાખંડની પ્રસિદ્ધ ચારધામ યાત્રા માટે રાહ જોઈ રહેલા ભક્તો માટે સારા સમાચાર છે. ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. શુક્રવારે સવારે સાત વાગ્યાથી શ્રદ્ધાળુઓ મોબાઈલ એપ દ્વારા પોતાનું રજિસ્ટ્રેશન કરી શકશે. આગામી મહિને કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામોની યાત્રા શરૂ થવાની છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ પવિત્ર યાત્રામાં ભાગ લે છે અને આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ચારધામ યાત્રા માટે ઓફલાઈન રજિસ્ટ્રેશન કયારે શરૂ થશેઃ આધિકારીક નિવેદન અનુસાર ુસવારે સાત વાગ્યાથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થયું છે. શ્રદ્ધાળુઓ માટે ઓફલાઈન રજિસ્ટ્રેશનની સુવિધા પણ જલદી શરૂ કરવામાં આવશે. ચારધામ યાત્રા શરૂ થવાના બે દિવસ પહેલા એટલે કે ૧૭ એપ્રિલથી ઓફલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે. તેના માટે ઋષિકેશ, હરિદ્વાર અને દહેરાદૂનમાં ખાસ રજિસ્ટ્રેશન કાઉન્ટર બનાવવામાં આવશે. સરકાર દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે અનેક અન્ય વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે.
