પશ્ચિમ એશિયાના તણાવને કારણે દરિયાઈ વેપાર માર્ગો પર થયેલી અસરને પગલે મુંબઈ અને પુણે જેવા શહેરોમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની અછતના અહેવાલોએ જોર પકડ્યું છે.
હોસ્પિટાલિટી સેક્ટર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો પુરવઠો જલ્દી સામાન્ય નહીં થાય તો ખાણીપીણીની દુકાનો બંધ રાખવી પડી શકે છે. આ સ્થિતિમાં, દેશની અગ્રણી ઓઈલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) એ સામાન્ય નાગરિકો માટે ઘરે બેઠા ગેસ બચાવવાની મહત્વપૂર્ણ ટિપ્સ શેર કરી છે.
પ્રેશર કૂકર: ગેસ બચાવવાનું સૌથી મોટું હથિયાર
IOC એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મુંબઈવાસીઓને વિનંતી કરી છે કે રસોઈમાં પ્રેશર કૂકરનો મહત્તમ ઉપયોગ કરો. કૂકરમાં રસોઈ કરવાથી માત્ર સમય જ નથી બચતો, પરંતુ LPG ના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે કૂકરમાં ‘સેપરેટર’ (ડબ્બાઓ) નો ઉપયોગ કરીને ચોખા, દાળ અને શાકભાજી એકસાથે રાંધવા જોઈએ, જે રસોડાને વધુ ‘ઉર્જા-સ્માર્ટ’ બનાવે છે.
રેલવે અને રેસ્ટોરન્ટ્સમાં વૈકલ્પિક વ્યવસ્થા
એક તરફ અછતની ચિંતા છે, ત્યારે બીજી તરફ IRCTC એ વેસ્ટ ઝોનમાં તમામ કેટરિંગ યુનિટ્સને માઇક્રોવેવ અને ઇલેક્ટ્રિક ઇન્ડક્શન સ્ટોવ પર શિફ્ટ થવા આદેશ આપ્યો છે. મુંબઈની ઘણી મોટી હોટલો પણ હવે ગેસના બદલે વીજળી આધારિત રસોઈ પદ્ધતિઓ પર ભાર મૂકી રહી છે જેથી ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન પડે.
ડિસ્ટ્રિબ્યુટર્સ ફેડરેશનનો આશ્વાસન આપતો દાવો
જોકે, અછતની આ બધી વાતો વચ્ચે ઓલ ઈન્ડિયા એલપીજી ડિસ્ટ્રિબ્યુટર્સ ફેડરેશનના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ પી.એન. સેઠે મુંબઈગરાઓને આશ્વાસન આપતા કહ્યું છે કે, “કોઈ અછત નથી. ડોમેસ્ટિક (ઘરેલું) સિલિન્ડરોનો પુરવઠો અમારી ટોચની પ્રાથમિકતા છે અને તે રાબેતા મુજબ ચાલુ છે.” તેમણે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને જરૂરિયાત મુજબ જ ગેસ વાપરવા જણાવ્યું છે.
ત્યારે, મુંબઈવાસીઓ માટે અત્યારે સાવચેતી અને સમજદારીપૂર્વકનો ગેસ વપરાશ એ જ સૌથી ઉત્તમ રસ્તો છે
