અમદાવાદમાં આવેલા છારાનગરમાં 3 માર્ચે મોડી રાત્રે મહિલાના ઘરમાં લૂંટના ઇરાદે આવી હત્યા કરવાના કેસમાં બે આરોપીઓની સરદારનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
છારાનગર વિસ્તારમાં મજૂરી કામ કરતા બે યુવકો દ્વારા ઉત્તર પ્રદેશના આગરાથી બે માણસો બોલાવીને લૂંટના ઇરાદે મહિલાની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓ રેલવે ટ્રેકથી અલગ અલગ વાહનોમાં યુપી ખાતે નાસી ગયા હતા. સરદારનગર પોલીસ દ્વારા CCTV ફૂટેજીસના આધારે તપાસ કરી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી કે મહિલાનું મૃત્યુ થઈ ગયું છે કે નહીં તે તપાસ કરવા ફરીથી એક આરોપી ઘરમાં પાછો ગયો હતો અને મહિલા મરી ગઈ છે કે કેમ એની ખાતરી કર્યા બાદ જ ત્યાંથી નીકળ્યો હતો. બાકીના બે આરોપીઓની ધરપકડ કરવાની પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
