ભારતીય ફિલ્મ જગતના દિગ્ગજ અને બહુમુખી પ્રતિભા ધરાવતા ગાયિકા આશા ભોસલેનું ૯૨ વર્ષની વયે દુખદ નિધન થયું છે. સંગીત સામ્રાજ્ઞી અને ભારત રત્ન લતા મંગેશકરના નાના બહેન આશા ભોસલેએ રવિવાર, ૧૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમની તબિયત લથડતા તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર દેશ અને સંગીત પ્રેમીઓમાં શોકની લાગણી ફરી વળી છે.
પરિવાર અને હોસ્પિટલની વિગતો:
આશા ભોસલેના પુત્ર આનંદ ભોસલેએ મીડિયા સમક્ષ આવીને અત્યંત ગમગીન હૈયે આશા તાઈના અવસાનના સમાચાર આપ્યા હતા. અગાઉ તેમની પૌત્રી જનાઈ ભોસલેએ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે આશા ભોસલેને છાતીમાં ઈન્ફેક્શન થયું હતું અને તેઓ ખૂબ નબળાઈ અનુભવી રહ્યા હતા, જેના કારણે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ બહાર હાલ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવામાં આવ્યો છે.
અંતિમ વિદાય અને અંતિમ સંસ્કાર:
આશા ભોસલેના પાર્થિવ દેહના અંતિમ દર્શન આવતીકાલે સોમવારે સવારે ૧૧ થી બપોરે ૩ વાગ્યા સુધી કરી શકાશે. ત્યારબાદ તેમની અંતિમયાત્રા નીકળશે અને સાંજે ૪ વાગ્યે શિવાજી પાર્ક સ્મશાનગૃહ ખાતે રાજકીય સન્માન (સ્ટેટ ઓનર્સ) સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા તે મુજબની તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
છ દાયકાની અવિરત સંગીત સફર:
આશા ભોસલેએ છ દાયકાથી વધુ સમય સુધી હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પોતાના અવાજનો જાદુ પાથર્યો હતો. તેમણે માત્ર હિન્દી જ નહીં, પરંતુ ગુજરાતી, મરાઠી, બંગાળી, તમિલ અને તેલુગુ સહિત અનેક ભાષાઓમાં હજારો ગીતો ગાયા છે. સંગીત જગતના દિગ્ગજ સંગીતકારો આર.ડી. બર્મન, ઓ.પી. નૈય્યર, સચિન દેવ બર્મન અને લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે મળીને તેમણે અનેક અમર ગીતો આપ્યા છે. ‘દમ મારો દમ’ અને ‘ઓમ શાંતિ ઓમ’ જેવા સુપરહિટ ગીતો તેમના અવાજમાં સદાય ગુંજતા રહેશે. તેમની ગાયકીની વિવિધતા અને મધુરતાએ તેમને વિશ્વભરમાં લોકપ્રિયતા અપાવી હતી. તેમના નિધનથી સંગીત ક્ષેત્રે ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે.
