May 2, 2026
તાજા સમાચારદેશ

બરગી જળાશયમાં સર્જાયેલી હૃદયદ્રાવક ક્રુઝ દુર્ઘટના પાછળ માનવીય ભૂલ અને પ્રશાસનિક બેદરકારી સામે આવી

મધ્યપ્રદેશના સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ બરગી જળાશયમાં સર્જાયેલી હૃદયદ્રાવક ક્રુઝ દુર્ઘટના પાછળ હવે માનવીય ભૂલ અને પ્રશાસનિક બેદરકારીના પુરાવાઓ બહાર આવી રહ્યા છે. આ અકસ્માતની પ્રાથમિક તપાસમાં મધ્યપ્રદેશ પ્રવાસન નિગમની ગંભીર બેદરકારી ઉઘાડી પડી છે, જેમાં હવામાન વિભાગની આગોતરી ચેતવણી હોવા છતાં મુસાફરો ભરેલા ક્રુઝને ઊંડા પાણીમાં ઉતારી દેવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે, જોખમી મુસાફરી હોવા છતાં સુરક્ષાના પાયાના નિયમોને નેવે મૂકી પ્રવાસીઓને લાઈફ જેકેટ જેવી અનિવાર્ય સુવિધા પણ પૂરી પાડવામાં આવી નહોતી, જે અંતે અનેક લોકો માટે જળસમાધિનું કારણ બની.

તપાસમાં સૌથી મોટો ઘટસ્ફોટ એ થયો છે કે હવામાન વિભાગ દ્વારા પ્રી-એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં ક્રુઝને સહેલગાહ માટે પરવાનગી આપવામાં આવી હતી. સ્ટાફે ટેકનિકલ રિપોર્ટ્સને બદલે માત્ર મોબાઈલની સામાન્ય માહિતી અને પોતાના અંદાજ પર ભરોસો રાખીને 40થી વધુ પ્રવાસીઓના જીવ જોખમમાં મૂક્યા હતા.

નિયમ મુજબ, પાણીમાં મુસાફરી શરૂ કરતા પહેલા દરેક પ્રવાસીને લાઈફ જેકેટ પહેરાવવું અને સુરક્ષા સૂચનાઓ આપવી ફરજિયાત છે. જોકે, વાયરલ વિડિયો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ક્રુઝમાં લાઈફ જેકેટ હતા, પરંતુ તે પ્રવાસીઓને આપવામાં આવ્યા નહોતા. જે ગણ્યા-ગાંઠ્યા લોકોએ જાતે જેકેટ પહેર્યા હતા, માત્ર તેઓ જ પોતાનો જીવ બચાવી શક્યા હતા.

 

સુરક્ષાના સ્ટાન્ડર્ડસ મુજબ દર 10-15 પ્રવાસીએ એક લાઈફ સેવર હોવો જોઈએ. પરંતુ આ ક્રુઝ પર કેપ્ટન સિવાય માત્ર એક જ કર્મચારી હાજર હતો. આટલી મોટી સંખ્યામાં મુસાફરો સામે માત્ર બે કર્મચારીઓ કટોકટીના સમયે બચાવ કામગીરી કરવા માટે સાવ અક્ષમ હતા.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે પવનની ગતિ 50 થી 60 કિમી પ્રતિ કલાકની હતી. આ ક્રુઝ મહત્તમ 30 કિમીની ગતિ સહન કરવાની ક્ષમતા ધરાવતું હતું. જ્યારે વાવાઝોડું ત્રાટક્યું ત્યારે 20 વર્ષ જૂનું આ ક્રુઝ મોજાં અને પવનના દબાણ સામે ટકી શક્યું નહીં અને ઊંધું વળી ગયું.

મેકલ રિસોર્ટના સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું છે કે ક્રુઝ પર 43 પ્રવાસીઓ સવાર હતા. શંકા સેવાઈ રહી છે કે કેટલાક લોકો ટિકિટ લીધા વગર જ ક્રુઝ પર ચઢી ગયા હતા, જેના કારણે ક્રુઝના વજનનું સંતુલન પણ જોખમાયું હોઈ શકે છે.

બચી ગયેલા મુસાફરોએ રડતા રડતા જણાવ્યું કે, જ્યારે આકાશમાં કાળા વાદળો ઘેરાયા અને પવન શરૂ થયો, ત્યારે અમે કેપ્ટનને કગરીને વિનંતી કરી હતી કે ક્રુઝ પાછું વાળી લો. પરંતુ કેપ્ટને પ્રવાસીઓની વાત સાંભળવાને બદલે ક્રુઝને મોજાંની વચ્ચે ધકેલી દીધું હતું.

Related posts

કેરળમાં કોવિડ-૧૯ ચેપ JN-1ના નવા પ્રકારની થઇ પુષ્ટિ, સરકાર સમગ્ર દેશમાં એલર્ટ મોડ પર

Ahmedabad Samay

દિલ્હીમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે

Ahmedabad Samay

જમ્મુ-કાશ્મીરમાં સર્જાયો નવો ઈતિહાસ! શ્રીનગરમાં 3 દાયકા બાદ નીકળ્યું મોહરમનું જુલુસ

Ahmedabad Samay

પોન્‍નિયિન સેલ્‍વન ૧’ ઘણા વર્ષોની મહેનત બાદ તૈયાર થયેલી બિગ બજેટ ફિલ્‍મ છે. આ ફિલ્‍મે થિયટર્સમાં પહોંચતાં જ ધમાલ મચાવી

Ahmedabad Samay

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું.

Ahmedabad Samay

સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ એટલે કે NSAB નું પુનર્ગઠન કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો