August 7, 2026
તાજા સમાચારદેશ

બરગી જળાશયમાં સર્જાયેલી હૃદયદ્રાવક ક્રુઝ દુર્ઘટના પાછળ માનવીય ભૂલ અને પ્રશાસનિક બેદરકારી સામે આવી

મધ્યપ્રદેશના સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ બરગી જળાશયમાં સર્જાયેલી હૃદયદ્રાવક ક્રુઝ દુર્ઘટના પાછળ હવે માનવીય ભૂલ અને પ્રશાસનિક બેદરકારીના પુરાવાઓ બહાર આવી રહ્યા છે. આ અકસ્માતની પ્રાથમિક તપાસમાં મધ્યપ્રદેશ પ્રવાસન નિગમની ગંભીર બેદરકારી ઉઘાડી પડી છે, જેમાં હવામાન વિભાગની આગોતરી ચેતવણી હોવા છતાં મુસાફરો ભરેલા ક્રુઝને ઊંડા પાણીમાં ઉતારી દેવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે, જોખમી મુસાફરી હોવા છતાં સુરક્ષાના પાયાના નિયમોને નેવે મૂકી પ્રવાસીઓને લાઈફ જેકેટ જેવી અનિવાર્ય સુવિધા પણ પૂરી પાડવામાં આવી નહોતી, જે અંતે અનેક લોકો માટે જળસમાધિનું કારણ બની.

તપાસમાં સૌથી મોટો ઘટસ્ફોટ એ થયો છે કે હવામાન વિભાગ દ્વારા પ્રી-એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોવા છતાં ક્રુઝને સહેલગાહ માટે પરવાનગી આપવામાં આવી હતી. સ્ટાફે ટેકનિકલ રિપોર્ટ્સને બદલે માત્ર મોબાઈલની સામાન્ય માહિતી અને પોતાના અંદાજ પર ભરોસો રાખીને 40થી વધુ પ્રવાસીઓના જીવ જોખમમાં મૂક્યા હતા.

નિયમ મુજબ, પાણીમાં મુસાફરી શરૂ કરતા પહેલા દરેક પ્રવાસીને લાઈફ જેકેટ પહેરાવવું અને સુરક્ષા સૂચનાઓ આપવી ફરજિયાત છે. જોકે, વાયરલ વિડિયો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ક્રુઝમાં લાઈફ જેકેટ હતા, પરંતુ તે પ્રવાસીઓને આપવામાં આવ્યા નહોતા. જે ગણ્યા-ગાંઠ્યા લોકોએ જાતે જેકેટ પહેર્યા હતા, માત્ર તેઓ જ પોતાનો જીવ બચાવી શક્યા હતા.

 

સુરક્ષાના સ્ટાન્ડર્ડસ મુજબ દર 10-15 પ્રવાસીએ એક લાઈફ સેવર હોવો જોઈએ. પરંતુ આ ક્રુઝ પર કેપ્ટન સિવાય માત્ર એક જ કર્મચારી હાજર હતો. આટલી મોટી સંખ્યામાં મુસાફરો સામે માત્ર બે કર્મચારીઓ કટોકટીના સમયે બચાવ કામગીરી કરવા માટે સાવ અક્ષમ હતા.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે પવનની ગતિ 50 થી 60 કિમી પ્રતિ કલાકની હતી. આ ક્રુઝ મહત્તમ 30 કિમીની ગતિ સહન કરવાની ક્ષમતા ધરાવતું હતું. જ્યારે વાવાઝોડું ત્રાટક્યું ત્યારે 20 વર્ષ જૂનું આ ક્રુઝ મોજાં અને પવનના દબાણ સામે ટકી શક્યું નહીં અને ઊંધું વળી ગયું.

મેકલ રિસોર્ટના સીસીટીવી ફૂટેજ તપાસતા જાણવા મળ્યું છે કે ક્રુઝ પર 43 પ્રવાસીઓ સવાર હતા. શંકા સેવાઈ રહી છે કે કેટલાક લોકો ટિકિટ લીધા વગર જ ક્રુઝ પર ચઢી ગયા હતા, જેના કારણે ક્રુઝના વજનનું સંતુલન પણ જોખમાયું હોઈ શકે છે.

બચી ગયેલા મુસાફરોએ રડતા રડતા જણાવ્યું કે, જ્યારે આકાશમાં કાળા વાદળો ઘેરાયા અને પવન શરૂ થયો, ત્યારે અમે કેપ્ટનને કગરીને વિનંતી કરી હતી કે ક્રુઝ પાછું વાળી લો. પરંતુ કેપ્ટને પ્રવાસીઓની વાત સાંભળવાને બદલે ક્રુઝને મોજાંની વચ્ચે ધકેલી દીધું હતું.

Related posts

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં મળ્યા

Ahmedabad Samay

હોકી ટીમ ઓલિમ્પિકમાં ચંદ્રક માટે ટોચની દાવેદાર: તુષાર ખાંડેકર

Ahmedabad Samay

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી. તેમણે કહ્‍યું કે વડા પ્રધાન મોદી તેમના કરતા ઘણા કઠોર વાટાઘાટકાર છે, જાણો ટ્રમ્પ અને મોદીજીના મુલાકાતની મહત્વપુર્ણ વાતો

Ahmedabad Samay

સબ્સિડીવાળા રસોઈ ગેસની કિંમતમાં ૨૦ ટકાનો વધારો, ગ્રાહકોની સબસીડી થઈ શૂન્ય, સરકારને રાહત

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં મોટી ખામી

Ahmedabad Samay

છત્રપતિ શિવાજી મહારાજના ૧૨ કિલ્લાઓ વિશ્વ ધરોહર બન્યા, જાણો ૧૨ કિલ્લા વિશે માહિતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો