તમિલનાડુમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ભારે ખેંચતાણ અને રાજકીય અનિશ્ચિતતાનો શનિવારે સાંજે આખરે સુખદ અંત આવ્યો છે. રાજ્યની સૌથી મોટી પાર્ટી તમિઝગા વેત્રી કઝગમના અધ્યક્ષ સી. જોસેફ વિજયે ચેન્નાઈ સ્થિત લોક ભવન ખાતે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર સાથે મુલાકાત કરી હતી અને રાજ્યમાં નવી સરકાર રચવા માટે પોતાનો સત્તાવાર દાવો રજૂ કર્યો હતો.
ત્રણ દિવસમાં ચોથી મુલાકાત બાદ સફળતા
રાજકીય ગતિરોધ વચ્ચે સી. જોસેફ વિજયે છેલ્લા ત્રણ દિવસમાં ચોથી વખત રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. અગાઉની મુલાકાતોમાં કોઈ ચોક્કસ પરિણામ નહોતું આવ્યું, પરંતુ શનિવારે સમીકરણો બદલાયા હતા. VCK અને IUML દ્વારા ટીવીકેને બિનશરતી ટેકો જાહેર કરવામાં આવતા વિજય માટે સરકાર બનાવવાનો માર્ગ મોકળો થયો હતો.
બહુમતીનું ગણિત અને ગઠબંધન
234 બેઠકો ધરાવતી તમિલનાડુ વિધાનસભામાં સરકાર રચવા માટે જરૂરી જાદુઈ આંકડા સામે સી. જોસેફ વિજયે 120 નવનિર્વાચિત ધારાસભ્યોના સમર્થન સાથેનો પત્ર રાજ્યપાલને સુપરત કર્યો છે. આ મહત્વપૂર્ણ મુલાકાત સમયે વિજયની સાથે કોંગ્રેસ, VCK, CPI (M), CPI અને IUML ના ટોચના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પક્ષોના સંયુક્ત ટેકાથી હવે રાજ્યમાં નવી સરકારના શપથ ગ્રહણની તૈયારીઓ તેજ બની છે.
