June 2, 2026
ગુજરાત

ગુજરાત પોલીસ દ્વારા પારદર્શિતા વધારવાના હેતુથી પોલીસ ભવન ખાતે “જનસંપર્ક કાર્યાલય ‘ શરૂ કરવામાં આવ્યું

રાજ્યના નાગરિકો અને પોલીસ તંત્ર વચ્ચે વિશ્વાસ અને પારદર્શિતા વધારવાના હેતુથી પોલીસ ભવન ખાતે “જનસંપર્ક કાર્યાલય ‘ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન રાવના માર્ગદર્શનમાં આ કાર્યાલય હેઠળ નાગરિકોની ફરિયાદો, અરજીઓ તથા પ્રશ્નોના યોગ્ય અને ન્યાયસંગત નિરાકરણ સમયસર લાવવામાં આવે છે. આજે રાજ્યના પોલીસ વડાએ આ કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.
પોલીસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ વ્યવસ્થા આજે નાગરીકો માટે ન્યાય મેળવવાનું સુવ્યવસ્થિત અને સક્ષમ માધ્યમ બન્યુ છે. આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક અરજદારને સન્માન સાથે સાંભળવાનો, જિલ્લા કે શહેર સ્તરની પોલીસ કચેરીઓ સાથે સંકલન સાધી સમયમર્યાદા આધારિત પારદર્શક નિરાકરણ લાવવાનો છે. આ વ્યવસ્થાથી અરજીઓ પર થતી કાર્યવાહીનો વિલંબ નાબૂદ અને પોલીસ પ્રત્યેનો જનવિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન રાવે જણાવ્યું હતું કે, જનસંપર્ક કાર્યાલય એ માત્ર નાગરિકોની અરજીઓ સ્વીકારવાનું કેન્દ્ર નથી. તે ગુજરાત પોલીસની ‘સુરક્ષા, સેવા અને વિશ્વાસ’ની ભાવનાને ઉજાગર કરવાનું સક્ષમ માધ્યમ છે. કચેરીના પગથિયાં ચઢતો દરેક સામાન્ય અને ગરીબ માણસ અહીંથી ન્યાયની આશા અને સંતોષ સાથે પાછો ફરે તે અમારી પ્રાથમિકતા છે. જન સંપર્ક કાર્યલય ખાતે આવતી અરજીઓને પ્રાધાન્ય આપી ત્વરીત ઉકેલ લાવવા માટે જિલ્લા કક્ષાએ પણ સુચના આપવામાં આવી છે.
અગાઉ નાગરિકોએ પોતાની રજૂઆત માટે અલગ-અલગ કચેરીઓના ચક્કર કાપવા પડતા હતા. હવે આ સિંગલ-વિન્ડો જેવી પારદર્શક વ્યવસ્થાથી સમયસર ફરિયાદ નિવારણ શક્ય બન્યું છે. તો આવો આ જનસંપર્ક કેન્દ્રની સમગ્ર કાર્યપદ્ધતિની સમજીએ:
અરજી સ્વીકાર અને પ્રાથમિક નોંધણી
કેન્દ્ર પર આવતા દરેક નાગરિકની વિગતો રિસેપ્શન ડેસ્ક પર નોંધવામાં આવે છે. તેમને સુનાવણી માટે અનુકૂળ તેમજ તણાવમુક્ત વાતાવરણ પૂરું પાડવામાં આવે છે.
અધિકારી દ્વારા રૂબરૂ સુનાવણી
ઉપસ્થિત ઉચ્ચ જવાબદાર અધિકારીઓ દ્વારા અરજદારની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળીને કેસની નોંધ લેવામાં આવે છે.
નોંધણી અને ત્વરિત પ્રક્રિયા
કેન્દ્ર મારફતે મળેલી તમામ ફરિયાદો અને રજૂઆતોની વિધિવત નોંધણી કરી યોગ્ય કાર્યવાહી માટે સંબંધિત જિલ્લા અથવા શહેર પોલીસ એકમો કે સંલગ્ન શાખાઓને મોકલવામાં આવે છે.
અહેવાલ અને સમીક્ષા
ફિલ્ડ યુનિટ પાસેથી નિર્ધારિત સમયમાં જરૂરી અહેવાલ મંગાવી તેનું બારીકાઈથી પરીક્ષણ કરી ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આગળની કાર્યવાહી માટે રજૂ કરવામાં આવે છે.
બે સ્તરીય ફીડબેક પ્રણાલી
સેવા સુધારણા માટે કાર્યાલય સ્તરે અને જિલ્લા સ્તરે એમ બે પ્રકારે વિસ્તૃત ફીડબેક ફોર્મ ભરાવવામાં આવે છે. ટેલિફોન દ્વારા સંપર્ક કરી કેસની પ્રગતિની માહિતી પણ આપવામાં આવે છે.
તા. ૨ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવેલા આ જનસંપર્ક કેન્દ્રમાં મળેલી ફરીયાદોમાંથી મોટાભાગની ફરીયાદોનું ત્વરીત અને સચોટ નિવારણ લાવવામાં આવ્યું છે.
ભાવનગરના જીગરભાઈ ભટ્ટે ગાંધીનગર જનસંપર્ક કાર્યાલયનો સંપર્ક કર્યો હતો. કાર્યાલયના ત્વરિત ફોલોઅપ અને PI પલક પટેલ તથા PSI એમ.જે. પટેલના સહયોગથી અરજદારનો સંબંધિત IPS શ્રીમતી અમિતા વનાણી સાથે મુલાકાત કરાવી તેમના કેસના આરોપીની ત્વરિત ધરપકડ કરી તેમના પ્રક્ષ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
સાણંદના અરજદાર નરેશભાઈ દુલેરાએ આ સેવાને નાના માણસો માટે ન્યાયનું આશા કિરણ અને જનહિત માટે શરૂ કરવામાં આવેલી ઉત્તમ પહેલ ગણાવી હતી.
જનસંપર્ક કાર્યાલય એ માત્ર અરજીઓ સ્વીકારવાનું કેન્દ્ર નથી, પરંતુ તે પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસનો મજબૂત સેતુ છે. આ નાગરિક કેન્દ્રિત અભિગમ પોલીસ તંત્રને વધુ લોકભોગ્ય, લોકોપયોગી અને જવાબદાર બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે

Related posts

છ માસની ગર્ભવતી મહિલા રિવરફ્રન્ટ પર પડતું મુકવા જતા બચાવવામાં આવી

Ahmedabad Samay

વડોદરા: સુવર્ણ જડિત સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની પ્રતિમા પર લાઇટિંગ કરવાનો આટલા લાખનો ખર્ચ! રાજ્ય સરકાર આપશે ગ્રાન્ટ

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ આવું હશે.

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ઓઢવ વિસ્તારમાં બેડમિંટન સ્પર્ધાનું આયોજન કરાયું

Ahmedabad Samay

હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક વરસાદ માટે રેડ એલર્ટ અપાયું,

Ahmedabad Samay

અમદાવાદના સોલા પોલીસે સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર વસવાટ કરતા 17 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો