રાજકોટ સહિત અન્ય પાંચ મહાનગરપાલિકાઓની ચૂંટણી આવતા વર્ષે યોજાનાર છે ત્યારે મોટા ભાગની મનપામાં ભાજપનું શાસન હોય ચુંટણી પહેલા પક્ષમાં થતી આંતરિક લડાઈઓ બંધ કરાવવા અને લોકોની સમસ્યા તેમજ ફરિયાદોનો નિકાલ સહિતના મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ મહાનગરપાલિકાઓના પદાધિકારીઓને ગાંધીનગર ખાતે યોજાયેલ બેઠકમાં ટાંટિયાખેંચ બંધ કરી વિકાસના કામોમાં ધ્યાન આપો તેવી ટકોર કરી હતી. અને સાથો સાથ પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પાણી તેમજ ટીપી સ્કીમ સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની બાહેધરી પણ આપી હતી.
રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી જુથવાદ સપાટી પર જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા એક જુથ દ્વારા મહિલા મેયરને હાસ્યા પાછળ ધકેલી દેવાના અનેક કાવતરાઓ થયાની ચર્ચાએ જોર પકડ્યુ હતું. તેવી જ રીતે જનરલ બોર્ડમાં પણ શાસકપક્ષના કોર્પોરેટર દ્વારા જ અધિકારીઓ અને કોર્પોરેટરોની મીલીભગત ખુલી પાડવા માટે અમુક ખાસ પ્રશ્નો પુછવામાં આવ્યા હતાં. જેના લીધે ચુંટણી પહેલા જુથવાદ ધીમે ધીમે સપાટી પર આવતો હોવાની ચર્ચા જાગેલ આ વાત ગાંધીનગર સુધી પણ પહોંચી હોવાનું જાણકારો કહી રહ્યા હતા ત્યારે જ ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તમામ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. અને આ બેઠકમાં લોકોની સમસ્યાઓને લગતા પ્રશ્નોનો તેમજ અમુક પાયાની જરૂરિયાતના પ્રાણ પ્રશ્નો અંગે ચર્ચા કરી મુખ્યમંત્રીએ ઘટતુ કરવાની ખાત્રી આપી હતી.
મુખ્યમંત્રીએ બેઠકમાં પદાધિકારીઓને જણાવેલ કે, જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની ચૂંટણી તેમજ શહેરી વિકાસ વર્ષની ઉજવણી, ગ્રાન્ટ સહિતની મહત્વપુર્ણ બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ પાલિકાઓના મેયર સહિતના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ તેમની સાથે વિકાસના કામોની ચર્ચા ઉપરાંત આગામી ચૂંટણી પૂર્વે વાદ-વિવાદથી દૂર રહેવા સ્પષ્ટ સૂચના આપી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ મહાનગર પાલિકાના હોદ્દેદારોને કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, તેમના શહેરમાં ભ્રષ્ટાચારની કાઈ ફરિયાદ આવવી ન જોઈએ. નાગરિકોને કોઈ અગવડ ન પડે તે માટે દરેક નગરસેવક પોતાના વિસ્તારમાં પ્રવાસ કરતા રહે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વર્ગ-૧ની જગ્યા ખાલી પણ ટૂંક સમયમાં ભરી દેવાશે તેવી ખાતરી આપ્યાનું જણાવ્યું હતું.
રાજકોટ સહિત રાજ્યની આઠ મનપાના પડતર પ્રશ્નો મુદ્દે મુખ્યમંત્રીએ પદાધિકારીઓને તેડું મોકલ્યું હતું. જેમાં રાજકોટ મનપાએ ઉનાળામાં નર્મદાનાં નીર બંધ થવાથી સર્જાનાર પાણીની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી જેના જવાબમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટને પાણીની સમસ્યા નહીં થવા દેવાય તેવી ખાતરી આપ્યાનું પદાધિકારીઓએ જણાવ્યું હતું. તેઓએ વૈકલ્પિક વ્યવસ્થા કરવા અને રાજકોટને ઉનાળામાં પાણીની કટોકટી ન જોવી પડે તે જોવા અધિકારીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત ટાઉન પ્લાનિંગની અનેક ડ્રાફટ સ્કિમની મંજૂરી બાકી હોય તે આપવા રજૂઆત કરી હતી. જેના અનુસંધાને પણ મુખ્યમંત્રીએ હકારાત્મક પ્રતિસાાદ આપ્યો હતો. તેમજ માધાપર અન્ડરપાસ અંગે પણ ચર્ચા થતા તેની ફાઇલ પણ મુખ્યમંત્રીએ જોઇ લીધાની અને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવાશે તેવી ખાતરી આપ્યાનું જણાવ્યું હતું.
