પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકરની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય નાટ્યપ્રયોગ અને પદ્મશ્રી અરવિંદ વૈદ્ય સન્માન સમારોહ સંપન્ન
પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકરની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે મહારાષ્ટ્ર સમાજ, અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી નંદિની દેશપાંડે રચિત અને ડૉ. ધવલ વર્તક દિગ્દર્શિત ‘લોકમાતા’ નાટકનું ભવ્ય મંચન રવિવાર, તા. ૩૧ મે ૨૦૨૬ના રોજ એચ. કે. હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઉત્સાહભેર યોજાયું.
આ નાટકમાં આશરે ૪૦ શોખીન કલાકારોએ ભાગ લઈ પોતાની ઉત્તમ અભિનય પ્રતિભાનું દર્શન કરાવ્યું. શ્રીમતી પ્રિયંકા ખડક્કર-ગોડબોલેએ પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકરની ભૂમિકા અત્યંત પ્રભાવશાળી, સહજ અને ભાવસભર અભિનયથી જીવંત બનાવી દર્શકોના હૃદય જીતી લીધા. વિશેષ વાત એ હતી કે આ નાટ્યપ્રયોગમાં ૫ વર્ષથી લઈને ૭૫ વર્ષ સુધીના કલાકારોએ ભાગ લઈ કળાના માધ્યમથી પેઢીઓ વચ્ચેનું સુંદર સંકલન રજૂ કર્યું.
વ્યાવસાયિક કક્ષાનું સેટ ડિઝાઇન, વેશભૂષા, મેકઅપ, પ્રકાશ વ્યવસ્થા, સંગીત સંયોજન, અસરકારક લેખન અને સશક્ત દિગ્દર્શનને કારણે ‘લોકમાતા’ નાટક દર્શકોના મનમાં વિશેષ સ્થાન બનાવવામાં સફળ રહ્યું. પ્રયોગના અંતે ઉપસ્થિત રસિકોએ ઊભા રહીને (Standing Ovation) કલાકારોનું અભિનંદન કર્યું અને તાળીઓના ગડગડાટથી સમગ્ર ટીમને વધાવી લીધી.
આ જ દિવસે એક અન્ય ગૌરવપૂર્ણ પ્રસંગ પણ ઉજવાયો. મહારાષ્ટ્ર સમાજના આજીવન સભ્ય તથા સમાજના નાટકો દ્વારા અભિનયક્ષેત્રમાં પ્રવેશ કરીને
રાષ્ટ્રીય ખ્યાતિ મેળવનારા વરિષ્ઠ અભિનેતા પદ્મશ્રી અરવિંદ ગોપાળ વૈદ્યના સન્માન માટે મહારાષ્ટ્ર સમાજ, ભદ્ર અમદાવાદ અને કલાશ્રી સાંસ્કૃતિક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
તાજેતરમાં પ્રતિષ્ઠિત ‘પદ્મશ્રી’ પુરસ્કારથી સન્માનિત થયેલા અરવિંદ વૈદ્યને શાલ, શ્રીફળ, સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા. અમદાવાદની વિવિધ મરાઠી સંસ્થાઓ અને મંડળોના પ્રતિનિધિઓએ તેમને પુષ્પગુચ્છ, શિવમુદ્રા, સ્કેચ તથા વિવિધ ભેટો અર્પણ કરી અભિનંદન પાઠવ્યા.
આ પ્રસંગે પદ્મશ્રી અરવિંદ વૈદ્યએ મહારાષ્ટ્ર સમાજ સાથે જોડાયેલા પોતાના નાટ્યપ્રવાસની સ્મૃતિઓ તાજી કરી અને સમાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. તેમની સુવિદ્વાન પત્ની શ્રીમતી જયશ્રી વૈદ્યનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું.
‘લોકમાતા’ નાટક નિહાળ્યા બાદ પદ્મશ્રી અરવિંદ વૈદ્યએ સમગ્ર કલાકારવૃંદ, તકનીકી ટીમ અને આયોજકોના હૃદયપૂર્વક અભિનંદન કર્યા. તેમણે જણાવ્યું કે, “અહિલ્યાદેવીના કાર્ય અને જીવનમૂલ્યોને જનજન સુધી પહોંચાડતું આ નાટક સમગ્ર દેશમાં રજૂ થવું જોઈએ,” અને સમગ્ર ટીમને આશીર્વાદ આપ્યા.
આ રીતે પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકરની ત્રિશતાબ્દી જન્મજયંતિ નિમિત્તે આયોજિત આ સાંસ્કૃતિક મહોત્સવ ગૌરવ, આનંદ અને ઉત્સાહના વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો.
