રાજ્યમાં સર્જાયેલી અતિવૃષ્ટિ અને ભરાયેલા પાણીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે વિદ્યાર્થીલક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે. ભારે વરસાદના કારણે જે ઘરો તથા શાળાઓમાં પાણી ભરાવાથી બાળકોના પાઠ્યપુસ્તકો પલળી ગયા હોય કે નુકસાન પામ્યા હોય, તેવા તમામ બાળકોને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા વિનામૂલ્યે ત્વરિત નવા પાઠ્યપુસ્તકો પૂરા પાડવામાં આવશે.
ગરીબ અને સામાન્ય પરિવારના બાળકોનો અભ્યાસ ન અટકે તેવો હેતુ:
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આ નિર્ણય લેવાયો છે. અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારોના ગરીબ અને સામાન્ય પરિવારના બાળકોનું શિક્ષણ અટકે નહીં અને તેમનો અભ્યાસ નિરંતર ચાલુ રહે તે સુનિશ્ચિત કરવાનો આ આયોજન પાછળનો મુખ્ય આશય છે.
જિલ્લા શિક્ષણ અધિકારીઓને ત્વરિત સર્વે હાથ ધરી માંગણી પત્રક મોકલવા આદેશ:
રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના પ્રમુખ મનુભાઈ પાવરાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારોની તમામ સરકારી તેમજ અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળાઓના વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ આવરી લેવાશે. તમામ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO)ને નુકસાન પામેલા પુસ્તકોની સચોટ વિગતો મેળવી સત્વરે મંડળને મોકલવા સૂચના આપી દેવાઈ છે.
જિલ્લા કક્ષાએથી માંગણી પત્રક મળતાં જ મંડળ દ્વારા વિનામૂલ્યે પાઠ્યપુસ્તકોનો જથ્થો પ્રભાવિત શાળાઓ સુધી ઝડપથી પહોંચાડવા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તદુપરાંત, પ્રમુખે વાલીઓ અને વિદ્યાર્થીઓને ચિંતા ન કરવા અપીલ કરતાં જણાવ્યું છે કે જેમના પુસ્તકો ખરાબ થયા હોય તેમણે તુરંત જ પોતાની શાળા અથવા જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરવો.
