અમદાવાદમાં ઔડાના મકાનમાં રહેનારા મકાન ધારકો હવે ઔડાના મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી શકશે. હવે ઔડાના મકાનધારકો સરળતાથી મકાન વેચી પણ શકશે. એટલું જ નહીં ઔડાના મકાન પર સરળતાથી લોન પણ મળી રહેશે. આ અંગે ઔડા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. નામ તબદીલ કરી દસ્તાવેજ પ્રક્રિયા સરળ કરવામાં આવી છે. જે મુજબ હવે સામાન્ય ફી ભરીને મકાનમાં રહેનાર પોતાના નામે દસ્તાવેજ કરાવી શકાશે.
અત્યાર સુધી ઔડાના મકાન લોકિંગ પિરિયડ બાદ પણ મકાન માલિકો પોતાનુ મકાન વેચી શકતા ન હતા. એટલુ જ નહી ઔડાનુ મકાન ખરીદનારે દસ્તાવેજ કર્યા વિના જ મકાન ખરીદવુ પડતુ હતુ. આ તમામ મુસિબતમાંથી હવે ઔડા દ્વારા માર્ગ મોકળો કરાયો છે.
EWS, LIG 7 વર્ષ પછી અને MIG, HIG 5 વર્ષ પછી મકાન વેચી શકાશે. આ નિર્ણયથી ઔડાની 43 યોજનાઓના 23 હજાર 838 મકાનોને લાભ મળશે. 5.5 લાખ કિંમતના આવાસની સ્ટેમ્પ ડ્યુટી પુરુષ માટે 39,045 અને સ્ત્રી માટે 28,045 સ્ટેમ્પ ડ્યુટી ભરવાની આવતી હતી. પરંતુ હવે પુરૂષ તેમજ સ્ત્રી માટે માત્ર 100 રૂપિયા જ સ્ટેમ્પ ડ્યૂટીના ભરવાના રહેશે.જેનો લાભ ઔડા નિર્મિત મકાનોમાં રહેતા 4,751 આવાસના માલિકોને મળશે.
ઔડાના મકાન માટેની તમામ માહિતી માટે ઔડાનો જ સંપર્ક કરવાનો રહેશે. મકાન ધારકોએ બીજે ક્યાંય જવાની કે ધક્કા ખાવાની જરૂર નથી. માટે ઔડાનો સંપર્ક કરી કોઈ પણ મૂંઝવણ હોય તો એ દૂર કરી શકાશે.
