જિલ્લાના નાગરિકોમા અંધશ્રધ્ધા પ્રત્યે જાગૃતતા કેળવાઈ તે હેતુથી પોરબંદર જિલ્લામાં અંધશ્રદ્ધા નિર્મૂલન માટે કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તા.૧૭ ફેબ્રુઆરીથી તા.૨૨ ફેબ્રુઆરી સુધી લોક જાગૃતિના કાર્યક્રમો શરૂ યોજાયા હતા. જેમાં રાજુ ભાઈ જોશી અને તેમની નાટક મંડળીની ટીમ દ્વારા જુદા જુદા ગામોમાં આરોગ્ય વિષયક તથા લોકોમાં અંધશ્રદ્ધાથી જાગૃત કરવા નાટકો ભજવવામાં આવ્યા હતા.
જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારોમાં શેરી નાટક તથા આરોગ્ય વિષયક કાર્યક્રમો યોજી લોકોને સરકારની જનહિતલક્ષી યોજનાઓ માહિતગાર કરાયા હતા.
જેમાં તા.૨૧ ના રોજ સીમર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના સીમર, ઇશ્વરીયા તથા રોજીવાડા તેમજ મોઢવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના મજીવાણા તેમજ ખાંભોદરના ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં સ્વચ્છતા કેળવવી , વ્યક્તિગત હાઇજીન, મચ્છર જન્ય રોગો સામે રક્ષણ મેળવવું, અંધશ્રદ્ધા અંગે જાગૃતતા , બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન , આયુષ્માન કાર્ડ , વેક્સિનેશન તથા શિક્ષણનું જીવનમાં મહત્વ જેવા અનેકવિધ મુદ્દાઓ વિશે નાટક ભજવીને રાજુભાઈ જોશી અને તેમની ટીમ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ તકે આરોગ્ય વિભાગનો સ્ટાફ દ્વારા અંધશ્રદ્ધા નિર્મૂલન અંગે વિવિધ સૂત્રો દ્વારા માર્ગદર્શન અપાયું હતું. તેમજ સરકારની આરોગ્યલક્ષી જનહિત ઉપયોગી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
