નોકરીની શોધ કરતા યુવક-યુવતીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરની 4 કોલેજ દ્વારા 14થી 16 માર્ચ સુધી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ 18 માર્ચે શ્રમ અને રોજગાર કલ્યાણ વિભાગ હસ્તકની રોજગાર કચેરી દ્વારા પણ એક ભરતી મેળો યોજાશે.
માહિતી મુજબ, ગાંધીનગર અને અમદાવાદની વિવિધ વિદ્યાશાખાની 4 સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે આ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ ભરતી મેળો 14થી 16 માર્ચ દરમિયાન યોજાશે. ગાંધીનગર કોમર્સ કોલેજ ખાતે 14 માર્ચે જ્યારે 15 અને 16 માર્ચે ગાંધીનગરની પોલિટેકનિક કોલેજમાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે 15 માર્ચે અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી આર્ટર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ભરતી મેળો યોજાશે.
રોજગાર મેળામાં 450 જેટલી કંપનીઓ ભાગ લેશે
જ્યારે સ્વામિનારાયણ આર્ટર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પણ 15 માર્ચે રોજગાર મેળાનું આયોજન કરાયું છે. જણાવી દઈએ કે, ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. માહિતી મુજબ, આ રોજગાર મેળામાં 450 જેટલી કંપનીઓ ભાગ લેશે. ઉપરાંત, શ્રમ અને રોજગાર કલ્યાણ વિભાગ હસ્તકની રોજગાર કચેરી દ્વારા પણ એક ભરતી મેળાનું આયોજન કરાયું છે, જે 18 માર્ચે યોજાશે અને આ મેળામાં ઇન્ટરવ્યૂના આધારે 500થી વધુ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ભરતી મેળામાં ધો.9,10 અને 12 પાસ સહિત ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઈ શકશે.
