ચાંદખેડામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ચાંદખેડામાં આવલા સ્કાયવોચ એપાર્ટમેન્ટમાં એક નવજાત બાળકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળી છે. બાળકને બિલ્ડિંગના 10માં માળેથી નીચે ફેંકી તેની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ મામલે પોલીસને જાણ કરતા ચાંદખેડા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી છે.
મીડિયા અહેવાલ મુજબ, ચાંદખેડામાં આવેલા સ્કાયવોચ એપાર્ટમેન્ટમાં બુધવારે ધોળા દિવસે એક નવજાત બાળકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. બિલ્ડિંગના 10માં માળેથી નવજાત બાળકને નીચે ફેંકવામાં આવ્યું હતું. જો કે, નવજાત બાળકની હત્યા કોણે કરી? તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ, આ મામલે પોલીસને જાણ કરાતા ચાંદખેડા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. મા મામલે સોસાયટીના શંકાસ્પદ લોકોનું ડીએનએ કરાવવામાં આવી શકે છે, જેથી જાણી શકાશે કે આ નવજાત બાળક કોનું છે?
પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો
આ ઘટના કોઈ સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. હાલ નવજાત બાળક નીચે કેવી રીતે પડ્યું? તેની હત્યા કરવામાં આવી છે કે કોઈ અન્ય કારણ છે? તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ સાથે જ તાજેતરમાં કોની-કોની ડિલિવરી થઇ છે, તેની વિગત પણ પોલીસ મેળવી રહી છે.
