મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના સીનિયર નેતા મનોહર જોશીનું નિધન થયું છે ડોક્ટર્સનું કહેવું છે કે મનોહર જોશીને હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર હેઠળ હતા. આખરે ૮૬ વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. મળતી માહિતી મુજબ મનોહર જોશીના પાર્થિવ દેહને સવારે ૧૧ થી ૨ વાગ્યા સુધી અંતિમ દર્શન માટે માટુંગા રૂપારેલ કોલેજ પાસેના તેમના નિવાસ સ્થાને રાખવામાં આવશે. બપોરે ૨ કલાક પછી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દાદર સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ગત વર્ષે મે મહિનાથી મનોહર જોશીની તબિયત લથડી રહી હતી. તે સમયે તેમને બ્રેઈન હેમરેજ થયું હતું. જે પછી તેમને હિન્દુજા હોસ્પિટલના ICUમાં લઈ જવામાં આવ્યા હતા, જયાં તેની સારવાર કરવામાં આવી. તબીબોને સાજા થવાની આશા ઓછી દેખાતી હોવાથી, તેને શિવાજી પાર્કમાં તેના ઘરે પાછા ફરવાનું કહેવામાં આવ્યું, જયાં તેની સંભાળ રાખવામાં આવી રહી હતી.
મનોહર જોશી ૨ ડિસેમ્બરે ૮૬ વર્ષના થયા. તેમને દાદર સ્થિત તેમની ઓફિસમાં લાવવામાં આવ્યા હતા, જયાં તેમના સમર્થકોએ તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમના નિધન બાદ તેમના સમર્થકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા સંદીપ દેશપાંડેએ મનોહર જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમને શ્રદ્ધાંજલિ આપી.
મહારાષ્ટ્રના મહાડમાં ૨ ડિસેમ્બર ૧૯૩૭ના રોજ જન્મેલા જોશીએ મુંબઈની પ્રતિષ્ઠિત વીરમાતા જીજાબાઈ ટેક્નોલોજીકલ ઈન્સ્ટિટ્યૂટમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા. જોશીની રાજકીય સફર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાવાથી શરૂ થઈ હતી અને બાદમાં તેઓ શિવસેનાના સભ્ય બન્યા હતા. જોશી ૧૯૮૦ ના દાયકામાં શિવસેનામાં એક અગ્રણી નેતા તરીકે ઉભરી આવ્યા હતા, જેઓ તેમની સંગઠનાત્મક કુશળતા અને પાયાના જોડાણ માટે જાણીતા હતા.
મનોહર જોશી હંમેશા બાળાસાહેબ ઠાકરેના સૌથી વિશ્વાસુ અને નજીકના નેતાઓમાંના એક રહ્યા છે. આ જ કારણ હતું કે વર્ષ ૧૯૯૫માં તેમને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. રાજયમાં પહેલીવાર શિવસેનાએ સત્તા સંભાળી અને તેને મુખ્યમંત્રીની ખુરશી સોંપવામાં આવી. તેઓ સંસદ સભ્ય તરીકે પણ ચૂંટાયા હતા અને ૨૦૦૨ થી ૨૦૦૪ સુધી લોકસભાના સ્પીકર હતા. આ સમયગાળા દરમિયાન અટલ બિહારી વાજપેયી સત્તામાં હતા.
