રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે કેટલીક નદીઓના જળસ્તર વધવાથી પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તારીખ 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્ય પરથી પસાર થયેલું અસના વાવાઝોડું હવે ધીરે-ધરે કરાંચીના માર્ગે થઈને ઓમાન તરફ જવાની શક્યતા રહેશે. જેથી ગુજરાતમાં રાહત થતી જોવા મળશે. પરંતુ ઉલ્લેખનીય છે કે, બીજી એક બંગાળાની ખાડીમાંથી જોરદાર સિસ્ટમ આવી રહી છે. જે દેશ સહિત ગુજરાતના ભાગોમાં તારીખ 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું છે કે, બંગાળીના ખાડીમાં એક પછી એક સિસ્ટમો બનતી જશે જે બાદમાં લો પ્રેશર, ડિપ ડિપ્રેશનમાં બનતા જશે. પરંતુ શરૂઆતમાં જોવા જઈએ તો તારીખ 6 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉલ્લેખનીય છે કે, આ વરસાદનું પ્રમાણ કેટલાક ભાગોમાં 4 ઈંચ તો કેટલાક ભાગોમાં 6 ઈંચ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદથી નદીઓમાં પુર આવવાની શક્યતા રહેશે. નર્મદા નદીના જળસ્તરમાં પણ વધારો જોવા મળશે. મધ્ય ગુજરાતના વડોદરાના ભાગોમાં ભારે થી અતિભારે વરસાદથી નાની નદીઓમાં પુર આવે તેવી શક્યતાઓ છે.

