આગામી મહિને ૬૪ વર્ષ બાદ તા. ૮ અને ૯ એપ્રિલ ૨૦૨૫ના રોજ યોજાનાર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાનાર છે જે કોંગ્રેસ માટે અને આગામી ચૂંટણી માટે ખૂબ મહત્વપૂર્ણ છે. અધિવેશનની પૂર્વ તૈયારી રૂપે ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓના આગમન શરૂ થઈ ગયું છે. ત્યારે હવે કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધિવેશનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે માહિતી આપતા કહ્યું હતું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ૮ એપ્રિલે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં હાજરી આપશે. CWCની બેઠક બાદ ૯ એપ્રિલે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિનું સત્ર યોજાશે.
તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા ઘ્ષ્ઘ્ની બેઠક ૮ એપ્રિલે સવારે ૧૧:૩૦ વાગ્યે શાહીબાગ વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક સંકુલમાં યોજાશે. આ બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક મોટા નેતાઓ હાજરી આપશે. કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો તેમજ પાર્ટીના પ્રદેશ પ્રમુખો પણ આ બેઠકમાં હાજરી આપશે.
વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી પહેલા આ જ સ્થળે બેઠક યોજાઈ હતી. ૮ એપ્રિલની બેઠક બાદ પાર્ટીના નેતાઓ સાંજે શહેરના સાબરમતી આશ્રમની મુલાકાત લઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને પ્રાર્થના સભામાં ભાગ લેશે. તેમણે જણાવ્યું હતું કે, દેશભરમાંથી લગભગ ૩,૦૦૦ પ્રતિનિધિઓ આગામી દિવસે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે AICC સત્રમાં હાજરી આપશે તેમ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ પૂર્વે કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી કે AICC સત્રમાં ભાજપની જનવિરોધી નીતિઓ અને બંધારણ પરના તેના હુમલા દ્વારા ઉભા થયેલા પડકારો તેમજ ભવિષ્ય માટે કોંગ્રેસના રોડમેપ પર ચર્ચા કરવામાં આવશે
