મધ્યપ્રદેશ સરકારે કોરોના મહામારીના કારણે લગાવેલા તમામ પ્રતિબંધો હટાવી દીધા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલયે એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણની સ્થિતિ નિયંત્રણમાં છે. પોઝિટિવિટી રેટ પણ એક ટકાથી ઓછો થઈ ચૂકયો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક મધ્ય રાત્રિથી નાઈટ કર્ફ્યૂ સહિતના પ્રતિબંધો હટાવી દેવાયા છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે, કોરોના પ્રતિબંધો હટાવ્યા હોવા છતાં તમામને મારી અપીલ છે કે, માસ્ક પહેરો અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરો. હોળી, રંગપંચમી અને અન્ય આગામી તહેવારોમાં લાપરવાહ ના રહો.
બીજી તરફ, મહારાષ્ટ્રમાં હવે કોરોના મહામારીની ત્રીજી લહેર કાબૂમાં આવી ગઈ છે. આ કારણસર મહારાષ્ટ્ર સરકાર કોરોનાને લગતા પ્રતિબંધોમાં ઢીલ મૂકી શકે છે. ગુજરાતમાં કોરોના પ્રતિબંધોમાંથી નાગરિકોને રાહત મળી શકે છે. હાલમાં જ ગુજરાત સરકારે નાઈટ કર્ફ્યૂ ધરાવતા શહેરોમાં કર્ફ્યૂનો સમય ઘટાડયો હતો. હવે આ ગાઈડલાઈન ફેબ્રુઆરીના અંત સુધી જ રહે એવી શકયતા છે. ત્યાર પછી માર્ચની શરૂઆતમાં નવી ગાઈડલાઈન આવશે, જેમાં તમામ નિયંત્રણોમાંથી મુકિત મળી શકે છે.
