મથુરાના વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદજી મહારાજની તબિયત લથડી હોવાની સમાચાર મળી રહ્યા છે. આ કારણે મોડી રાત્રે નીકળતી તેમની પદયાત્રા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. તેમના દર્શને આવતા હજારો ભક્તોને પરત ફરવાની અપીલ કરવામાં આવી છે. પ્રેમાનંદજી મહારાજના દર્શન ન થતાં સેંકડો ભક્તો તેમના દર્શનથી વંચિત રહ્યા હતા.
વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજ દરરોજ રાત્રે 2 વાગ્યે છટીકારા માર્ગ પર શ્રી કૃષ્ણ શરણમ સ્થિત તેમના નિવાસસ્થાનથી નીકળે છે અને પરિક્રમા માર્ગ પર આવેલા બારહઘાટ સ્થિત શ્રી હિત કેલી કુંજ આશ્રમની પદયાત્રા કરે છે. રાત્રે તેમની તબિયત ખરાબ હોવાથી તેઓએ નિવાસસ્થાન છોડ્યું ન હતું.
લાંબા સમયથી સંત પ્રેમાનંદ મહારાજની રાહ જોઈ રહેલા ભક્તો માટે માઇક પર જાહેરાત કરવામાં આવી કે આજે મહારાજજીની તબિયત સારી ન હોવાથી તેઓ આવશે નહીં. આ સાંભળીને ભક્તો નિરાશ થઈ ગયા, અને કેટલાક ભાવુક થઈને રડી પડ્યા. ભક્તોએ રાધારાણીને પ્રાર્થના કરી કે મહારાજજી જલ્દી સ્વસ્થ થાય.
30 માર્ચે સંત પ્રેમાનંદ મહારાજનો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવાયો. તેમની પદયાત્રા દરમિયાન આશરે 2 લાખ ભક્તો ઉમટી પડ્યા. દરેક ભક્ત મહારાજજીના દર્શન અને શુભેચ્છા આપવા ઉત્સુક હતા ભક્તોએ આખો માર્ગ ફૂલો અને રંગોળીથી શણગાર્યો અને અનેક સ્થળોએ રાધાના નામનું કીર્તન ગાયું હતું
