આગામી ૨૭મી જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રાને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે,જેના માટે આજે જળયાત્રા યોજાઇ છે. જળયાત્રાને લઈને જગન્નાથ મંદિર અને સરસપુર મંદિરમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રાના ૧૫ દિવસ પહેલા જળયાત્રા નીકળે છે,
જ્યાં નદી કિનારે ગંગા પૂજનની વિધિ કરવામાં આવી આ દરમિયાન મિનિ રથયાત્રા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સાબરમતી નદી કિનારે ગંગા પૂજનની વિધિ પૂર્ણ થયા બાદ મહંતોની હાજરીમાં ૧૦૮ કળશમાં નદીના જળ ભરીને મંદિરે લાવવામાં આવ્યા હતાં.
આ જળથી ભગવાનનો ભવ્ય જળાભિષેક કરાયો હતો. ત્યાર બાદ ભગવાનને ગજવેશ ધારણ કરેલ. વર્ષમાં આ એક જ દિવસે ભગવાન જગન્નાથના ગજવેશમાં દર્શન થાય છે. અને આ દિવસથી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી મામાને ઘરે જશે. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મેયર સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ છે. ત્યારે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જળયાત્રાનું મહત્વ સમજાવ્યુ હતું.તેમણે કહ્યુ કે જળયાત્રા ભક્તોને ઈશ્વર સાથે જોડે છે અને પર્યાવરણની શુદ્ધિમાં પણ યોગદાન આપે છે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે મંત્રોચ્ચારનું વિશેષ મહત્વ છે.તે આત્માને શુદ્ધિ કરાવે છે.
સાબરમતી નદીના ભુદરના આરે ભવ્ય પૂજન કરવામાં આવ્યું હતું.
અને ૧૦૮ કળશમાં પાણી ભરીને મંદિરમાં લવાયું હતું. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝમાં જળ ભરવા માટે લઈ જવામાં આવેલ અને બપોરે ભગવાનને મોસાળ વાસીઓ સરસપુર લઈ ગયા હતા.

