બાપુનગર વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરમાં થયેલી તોડફોડની ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. આજ રોજ વહેલી સવારે બનેલી આ ઘટનામાં રઝાક આલમ નામના વ્યક્તિએ મંદિરમાં ઘૂસી તાળું તોડી તોડફોડ કરી હતી અને મૂર્તિઓને ખંડિત કરી હતી. મંદિરના પૂજારી તેમજ સ્થાનિકોએ જણાવ્યું કે આરોપીએ ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવ્યા હતા અને ઊંચા અવાજે બોલ્યો હતો કે– “આજ મેરા અલ્લાહ ખુશ હોગા.” આ ઘટનાની જાણ થતા જ વિસ્તારમાં હંગામો મચી ગયો હતો.
મંદિરના પૂજારીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, રઝાક રાત્રે દારૂના નશામાં મંદિરની આસપાસ ઊંઘી ગયો હતો. વહેલી સવારે જ્યારે તે જાગ્યો ત્યારે અચાનક મંદિરમાં ઘૂસીને તોડફોડ શરૂ કરી દીધી હતી. તેણે રામદેવપીરની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું અને હનુમાનજીની મૂર્તિને ઊંધી પાડી દીધી હતી. આ દ્રશ્ય જોઈને પૂજારી તથા સ્થાનિક લોકો એકઠા થઈ ગયા. રઝાક મંદિરની બહાર આવીને પણ નારા લગાવતો રહ્યો, જેને લઈને ભીડ વધુ આક્રોશિત થઈ. અંતે સ્થાનિકોએ હિંમત બતાવીને તેને કાબૂમાં લઈ લીધો અને પોલીસને સોંપી દીધો.
ઘટનાની જાણ થતા જ કંટ્રોલ રૂમમાંથી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસની ગાડીમાં બેસાડ્યા પછી પણ રઝાક નારા લગાવતો રહ્યો હતો. ત્યારબાદ તેને પોલીસ મથક લાવવામાં આવ્યો.
રઝાકના પિતાએ પોલીસ મથક પહોંચી પોતાના પુત્રને ‘માનસિક અસ્થિર’ ગણાવ્યો અને જણાવ્યું કે તે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. પરિવાર મૂળ બિહારનો હોવાનું પણ સામે આવ્યું છે.
વિશ્વ હિંદુ પરિષદના એક નેતાએ જણાવ્યું કે મંદિરમાં મૂર્તિઓને નુકસાન થયું છે, જે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવી ઘટના છે. તેમણે આરોપીને કડક સજા આપવા માગણી કરી છે. સ્થાનિકોનું પણ કહેવું છે કે આ ઘટના સામાન્ય નથી, કારણ કે આરોપી વારંવાર ધાર્મિક નારા લગાવી રહ્યો હતો.
હાલ બાપુનગર પોલીસે પૂજારીની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. PI એસ. જી. ખાંભલાએ જણાવ્યું છે કે સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે રઝાકના માનસિક સ્વાસ્થ્ય અંગેની દલીલની પણ તપાસ શરૂ કરી છે કે ખરેખર તે માનસિક અસ્થિર છે કે નહીં. સાથે જ આરોપીના પૃષ્ઠભૂમિ અને તેના હેતુ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં ભારે રોષ છે અને પોલીસે સુરક્ષાને લઈને વધારાના પગલાં પણ લીધા છે
