December 12, 2025
અપરાધદેશ

બ્લાસ્ટની ઘટના પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિતના રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો

દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક પાર્ક કરેલી કારમાં થયેલા ભયાનક વિસ્ફોટથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 24થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિતના રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાન મોદીએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને વિસ્ફોટમાં જીવ ગુમાવનારાઓના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી. પીએમ મોદીએ જણાવ્યું કે, ‘આ વિસ્ફોટથી અસરગ્રસ્ત લોકોને અધિકારીઓ મદદ કરી રહ્યા છે. ગૃહ મંત્રી અમિતભાઈ  શાહે અન્ય અધિકારીઓ સાથે મળીને સ્થિતિની સમીક્ષા કરી છે.’ વડાપ્રધાને ગૃહમંત્રી અમિતભાઈ  શાહ સાથે ફોન પર વાત કરીને સમગ્ર પરિસ્થિતિની માહિતી પણ મેળવી હતી

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે એક્સ પર લખ્યું કે, ‘દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા કાર વિસ્ફોટના સમાચાર ખૂબ જ પીડાદાયક અને ચિંતાજનક છે. આ દુઃખદ અકસ્માતમાં અનેક નિર્દોષ લોકોના મૃત્યુના સમાચાર અત્યંત દુઃખદ છે.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટનાને અત્યંત ચિંતાજનક ગણાવી છે. તેમણે કહ્યું કે, ‘લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટના સમાચાર અત્યંત ચિંતાજનક છે. આમાં કેટલાક લોકોના જીવ ગુમાવ્યાના સમાચાર છે જે અત્યંત દુઃખદ છે. પોલીસ અને સરકારે તુરંત તપાસ કરવી જોઈએ કે આ વિસ્ફોટ કેવી રીતે થયો અને તેની પાછળ કોઈ મોટું ષડયંત્ર છે કે કેમ. દિલ્હીની સુરક્ષા પ્રત્યેની બેદરકારી સહન કરી શકાય નહીં.’

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ દુર્ઘટના પર આઘાત વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું કે, ‘નવી દિલ્હીમાં થયેલા દુ:ખદ વિસ્ફોટ વિશે સાંભળીને હું આઘાતમાં છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે અને હું ઘાયલ થયેલા તમામ લોકોની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરું છું.’

દિલ્હી પોલીસની શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે, આ બ્લાસ્ટ એક પાર્ક કરેલી કારમાં થયો હતો. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, આ અકસ્માત સાંજે સાત વાગ્યાની આસપાસ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, આસપાસના વાહનોના કાચ પણ તૂટી ગયા હતા. જે સમયે વિસ્ફોટ થયો, તે સમયે ટ્રાફિક સિગ્નલને કારણે રસ્તા પર મોટી સંખ્યામાં વાહનો હતા અને લોકોની પણ ભારે ભીડ હતી. વિસ્ફોટ બાદ તરત જ અફરાતફરી મચી ગઈ હતી અને ચારે તરફ અંગો વિખરાયેલા જોવા મળ્યા હતા.

Related posts

બે દેશી બનાવટના કટ્ટા તથા 10 જીવતા કારતુસ સાથે એક ઇસમની નરોડા પોલીસ દ્વારા ધરપકડ કરાઇ

Ahmedabad Samay

યુપીના ઇટાવામાં મોટી રેલ દુર્ઘટના

Ahmedabad Samay

BCCIએ સાઉથ આફ્રિકા સામેની ટી૨૦ સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની સ્‍કવોડની જાહેરાત,હાર્દિક પંડ્‍યા અને શુભમન ગિલની એન્ટ્રી

Ahmedabad Samay

લોકડાઉનનો નિર્ણય બધા રાજયોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા બાદ લેવાશે: અમિત શાહ

Ahmedabad Samay

સરકાર દ્વારા ફેર કેપ નાબૂદ કરતાજ હવાઇ ભાડામાં ધરખમ ઘટાડો

Ahmedabad Samay

પશુપાલક માટે સારા સમાચાર,પાક વીમા પછી કેન્‍દ્ર સરકાર યુનિવર્સલ પશુધન વીમા યોજના લાવવાની તૈયારી શરૂ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો