બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ શાંતિ સ્થપાવવાને બદલે દેશ વધુ ઊંડી ખાઈમાં ધકેલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં થયેલી હિંસાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ કટ્ટરપંથી તત્વોએ રસ્તા પર ઉતરીને ભારે ઉત્પાત મચાવ્યો છે.
ઢાકામાં અનેક અખબારોની ઓફિસો ફૂંકી મારવામાં આવી છે અને ભારતીય રાજદ્વારી મિશનને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
બાંગ્લાદેશમાં અરાજકતા એટલી હદે વધી ગઈ છે કે એક હિન્દુ યુવક પર ઈશનિંદાનો ખોટો આરોપ લગાવી તેને ઝાડ સાથે બાંધી જીવતો સળગાવી દેવાની કમકમાટીભરી ઘટના સામે આવી છે. ભૂરાજકીય નિષ્ણાતોનું માનવું છે કે મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સદંતર નિષ્ફળ રહી છે. નિષ્ણાતો આ સ્થિતિને ‘પાકિસ્તાન મોડેલ’ સાથે સરખાવી રહ્યા છે, જ્યાં લઘુમતીઓ પર હુમલા અને સૈન્યનો હસ્તક્ષેપ સામાન્ય બની ગયો છે.
સોશિયલ મીડિયા પર અત્યારે બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ દ્વારા એક વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે, જેમાં ‘ગ્રેટર બાંગ્લાદેશ’ અથવા ‘સિરાજ-ઉદ-દૌલા સામ્રાજ્ય’ની પુનઃસ્થાપનાની વાતો કરવામાં આવી રહી છે.
આ કાલ્પનિક નકશામાં ભારતના પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોને બાંગ્લાદેશનો ભાગ બતાવવામાં આવ્યા છે. સુરક્ષા વિશ્લેષકોના મતે, આ ISI સમર્થિત પ્રોપેગન્ડા છે જે બાંગ્લાદેશી યુવાનોમાં ભારત વિરોધી નફરત ફેલાવવા માટે તૈયાર કરવામાં આવ્યો છે.
બાંગ્લાદેશમાં વધી રહેલા પાકિસ્તાની અને ચીની પ્રભાવને કારણે ભારતની સુરક્ષા સામે પણ પ્રશ્નાર્થો ઉભા થયા છે. જે નેતાઓની હત્યા થઈ રહી છે, તેનો દોષ પણ ભારત પર ઢોળીને જનતાને ઉશ્કેરવામાં આવી રહી છે. શેખ હસીનાએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે યુનુસ સરકારે આતંકવાદીઓને છૂટો દોર આપી દીધો છે. દક્ષિણ એશિયામાં સર્જાઈ રહેલું આ ખતરનાક ‘કોકટેલ’ આગામી સમયમાં આખા પ્રદેશની શાંતિ હણી શકે છે
