બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર અને ‘નેશનલ ક્રશ’ તૃપ્તિ ડિમરીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ઓ રોમિયો’ વેલેન્ટાઈન વીક (13 ફેબ્રુઆરી) પર રિલીઝ થવા માટે તૈયાર છે, પરંતુ તે પહેલા જ ફિલ્મ વિવાદોના વમળમાં ફસાઈ ગઈ છે. મુંબઈના ભૂતકાળના જાણીતા પાત્ર હુસૈન ‘ઉસ્તારા’ શેખની પુત્રી સનોબર શેખે ફિલ્મના નિર્માતાઓ સામે લાલ આંખ કરી છે અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
સનોબર શેખનો દાવો છે કે ફિલ્મના ટ્રેલરમાં તેના પિતાના પાત્રને અત્યંત નકારાત્મક રીતે, એક ‘પાગલ ગેંગસ્ટર’ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. સનોબરે દલીલ કરી છે કે તેના પિતા કોઈ ગુનેગાર નહીં, પરંતુ મુંબઈ પોલીસ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓને ગુના નિવારણમાં મદદ કરનાર વ્યક્તિ હતા. તેમણે આક્ષેપ કર્યો છે કે આવી ગેરમાર્ગે દોરતી રજૂઆતથી તેમના પરિવાર અને બાળકોના માન-સન્માનને ન ભરપાઈ થઈ શકે તેવું નુકસાન થશે.
કાલ્પનિક કે સત્ય ઘટના?
આ ફિલ્મ પત્રકાર હુસૈન ઝૈદીના પ્રખ્યાત પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ પર આધારિત હોવાનું કહેવાય છે. જોકે, ફિલ્મના દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ અને લેખક હુસૈન ઝૈદીએ સ્પષ્ટતા કરી છે કે આ કોઈ બાયોપિક નથી. ઝૈદીના જણાવ્યા અનુસાર, ફિલ્મ અંશતઃ કેટલીક વાર્તાઓથી પ્રેરિત હોઈ શકે છે, પરંતુ તેના પાત્રો અને પ્રસંગો કલાત્મક સ્વતંત્રતા (Fiction) હેઠળ બનાવવામાં આવ્યા છે.
આજે કોર્ટમાં સુનાવણી
સનોબર શેખે દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ અને હુસૈન ઝૈદી વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. આ હાઈ-પ્રોફાઈલ કેસની સુનાવણી આજે મુંબઈની કોર્ટમાં થવાની છે. મનોજ બાજપેયીની ફિલ્મ ‘ઘુસખોર પંડિત’ બાદ હવે શાહિદની આ ફિલ્મ પણ સેન્સર અને કાયદાકીય અડચણોમાં ફસાય તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે કોર્ટ આ ફિલ્મને ગ્રીન સિગ્નલ આપે છે કે રિલીઝ પર રોક લગાવે છે.
