છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ચાલી રહેલી અફવાઓ પર ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું છે. કંપનીએ સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી અને આ પ્રકારના તમામ દાવાઓ તદ્દન ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે.
પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત અને સામાન્ય
ઈન્ડિયન ઓઈલ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત પાસે હાલમાં પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે.
દેશની ઇંધણ સપ્લાય ચેઈન, વિતરણ નેટવર્ક અને ડિલિવરી સિસ્ટમ કોઈપણ અવરોધ વગર સામાન્ય રીતે કામ કરી રહી છે. કંપની દેશભરમાં અવિરત ઇંધણ પુરવઠો જાળવી રાખવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને તમામ પેટ્રોલ પંપો પર ઈંધણની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા છે.
અફવાઓને કારણે ભીડ થતા તંત્ર હરકતમાં
દેશના વિવિધ ભાગોમાં પેટ્રોલ-ડીઝલ ખૂટી જશે તેવી અફવાઓ ફેલાતા લોકોમાં ચિંતા જોવા મળી હતી, જેના પરિણામે અનેક સ્થળોએ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો અને બિનજરૂરી ભીડ જોવા મળી હતી. આ સ્થિતિને ગંભીરતાથી લઈને ઈન્ડિયન ઓઈલે સ્પષ્ટ કર્યું છે કે જનતાએ આવી ચકાસણી વગરની વાતોથી ગભરાવાની જરૂર નથી.
સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા વિનંતી
કંપનીએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતી પર વિશ્વાસ ન કરે અને માત્ર સત્તાવાર સ્ત્રોતો દ્વારા જાહેર કરવામાં આવતી વિગતોને જ સાચી માને. સાથે જ, જનતાને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આવી ખોટી માહિતી ફેલાવવાનું ટાળે, જેથી સમાજમાં બિનજરૂરી મૂંઝવણ અને ગભરાટ પેદા ન થાય. ઈન્ડિયન ઓઈલના જણાવ્યા અનુસાર, દેશભરમાં ઈંધણની સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર છે અને પુરવઠામાં કોઈ જ વિક્ષેપ નથી.
