મધ્ય પૂર્વમાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓ અને વૈશ્વિક તેલ પુરવઠા પર મંડરાતા જોખમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બે કલાક લાંબી મેરેથોન બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમએ સ્પષ્ટ કર્યું હતું કે દેશમાં ફરી લોકડાઉન જેવી સ્થિતિ ઊભી થશે નહીં, પરંતુ ઈંધણ અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ કાબૂમાં રાખવા માટે કેન્દ્ર અને રાજ્યોએ ‘એક પરિવાર’ તરીકે લડવું પડશે. કોવિડ-૧૯ના કટોકટીકાળને યાદ કરતા તેમણે ‘ટીમ ઈન્ડિયા’ના મંત્ર પર ભાર મૂક્યો હતો, જેથી ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષની સીધી અસર ભારતના સામાન્ય નાગરિકના ખિસ્સા પર ન પડે.
બેઠક દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) બંધ થવાની આશંકા અને તેનાથી લોજિસ્ટિક્સ ચેઈન પર થનારી અસરો અંગે ગંભીર મંથન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને અપીલ કરી હતી કે તેઓ પોતપોતાના રાજ્યોમાં સંગ્રહખોરી રોકે અને આવશ્યક ચીજોનો પુરવઠો અવિરત રહે તે માટે જમીની સ્તરે કડક દેખરેખ રાખે. યુપીના સીએમ યોગી આદિત્યનાથથી લઈને જમ્મુ-કાશ્મીરના ઓમર અબ્દુલ્લા સુધીના નેતાઓએ પોતપોતાના રાજ્યની તૈયારીઓનો અહેવાલ રજૂ કર્યો હતો. આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીએ આર્થિક કટોકટીની સાથે સુરક્ષા પાસાઓ પર પણ ગંભીરતા દર્શાવી હતી.
જોકે, પશ્ચિમ બંગાળ, આસામ અને તમિલનાડુ જેવા પાંચ રાજ્યોના મુખ્યમંત્રીઓ ચૂંટણી આચારસંહિતાના કારણે આ બેઠકમાં જોડાઈ શક્યા નહોતા. તેમ છતાં, કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેલ અને ગેસના ભાવોમાં થતા વધારાને ખાળવા માટે વ્યૂહાત્મક તેલ ભંડારનો ઉપયોગ કરવા સહિતના તમામ વિકલ્પો ખુલ્લા છે. પીએમ મોદીએ અંતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રસીકરણ અભિયાનની જેમ જ, આ વૈશ્વિક આર્થિક તોફાનમાં પણ ભારત પોતાની એકતાના જોરે સુરક્ષિત રીતે બહાર આવશે અને અર્થતંત્રને ગતિશીલ રાખશે.
