ભારત માટે વર્ષ ૨૦૨૬ ની ચોમાસાની ઋતુ ભારે આફત અને ચિંતાના સંકેતો લઈને આવી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચાલુ વર્ષ માટે તેની પ્રથમ દીર્ઘકાલીન આગાહી જાહેર કરી છે, જે કુદરતી આપત્તિની મોટી ખતરાની ઘંટડી વગાડે છે. પેસિફિક (પ્રશાંત) મહાસાગરમાં અત્યંત ઝડપથી વિકસી રહેલી ‘સુપર અલ નીનો’ની દરિયાઈ ઘટનાને કારણે ભારતમાં ચોમાસાના પવનો સાવ નબળા પડી જશે. હવામાન વિભાગના મતે, આ વર્ષે ચોમાસાનો કુલ વરસાદ લાંબા ગાળાની સરેરાશ (LPA) ના માત્ર ૯૨ ટકા જ રહેવાની આશંકા છે, જેને વિજ્ઞાનની ભાષામાં ‘સામાન્ય કરતાં ઘણો ઓછો’ વરસાદ ગણવામાં આવે છે. દેશમાં આ વર્ષે ગંભીર દુષ્કાળ પડવાની શક્યતા સામાન્ય વર્ષો કરતાં બમણી એટલે કે ૩૫ ટકા જેટલી વધી ગઈ છે, જે કૃષિ પ્રધાન દેશ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
સુપર અલ નીનોનો આ પ્રકોપ દેશને બે વિરોધાભાસી ચિત્રોમાં વહેંચી દેશે, જે અંતર્ગત અડધો દેશ પાણી વિના સૂકોભઠ્ઠ બનશે તો અડધો દેશ પૂરના પાણીમાં ડૂબશે. આબોહવા વૈજ્ઞાનિક ડૉ. માધવન નાયરના જણાવ્યા મુજબ, આ વખતની પરિસ્થિતિ વર્ષ ૧૯૯૭ અને ૨૦૧૫ ના ભયાનક સમયગાળા જેવી જ કટોકટીભરી હોઈ શકે છે. ખાસ કરીને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી-NCR સહિત મધ્યપ્રદેશના ઈન્દોર, ઉજ્જૈન, ગ્વાલિયર અને જબલપુર જેવા મોટા શહેરોમાં વરસાદના અભાવે ગંભીર અછત સર્જાશે. મહારાષ્ટ્રના મરાઠવાડા, નાસિક અને સતારા જેવા વિસ્તારો, જેઓ અગાઉથી જ વરસાદની તંગી વેઠી રહ્યા છે, ત્યાં ગ્રામીણ અર્થતંત્ર સંપૂર્ણપણે ભાંગી પડે તેવો બેવડો પ્રહાર ગરમી અને દુષ્કાળના કારણે થવાની સંભાવના છે.
બીજી તરફ, આ અલ નીનો દક્ષિણ ભારતના પૂર્વ દરિયાકાંઠાના વિસ્તારો માટે વિનાશક સાબિત થશે. જ્યારે ઉત્તર ભારત પાણી માટે સંઘર્ષ કરતું હશે, ત્યારે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના શહેરોમાં આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાશે. ઈતિહાસ સાક્ષી છે કે વર્ષ ૨૦૧૫ ના સુપર અલ નીનો વખતે ચેન્નાઈ શહેર ઇતિહાસના સૌથી ભયાનક પૂરમાં ડૂબી ગયું હતું અને અબજો રૂપિયાના જાનમાલનું નુકસાન થયું હતું. વૈજ્ઞાનિકોએ અત્યારથી જ ચેન્નાઈ પ્રશાસનને પૂર વ્યવસ્થાપન માટે સજ્જ થઈ જવા તાકીદ કરી છે. જૂન અને જુલાઈના પ્રારંભિક દિવસોમાં ચોમાસું થોડું સ્થિર રહી શકે છે, પરંતુ તે પછી આખું વર્ષ દેશ માટે જળવાયુ પરિવર્તન નો અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર બનીને સામે આવશે.
