સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ધારાશાષાી શ્રી વિરાગ ગુપ્તાએ પાસપોર્ટને નાગરિકતાના કાયદેસર પુરાવા તરીકે સંપૂર્ણ માન્ય ગણાવ્યો. ભારતનું બંધારણ એકલ નાગરિકતા આપે છે, કોઈપણ રાજ્ય સરકારને આ અંગે નિર્ણય લેવાનો અધિકાર નથી.
મતદાર યાદીમાં નામ અને ભારતીય પાસપોર્ટ બંને નાગરિકતા સાબિત કરતા મજબૂત દસ્તાવેજો છે.
વિગતવાર જોઈએ તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક સમાચાર સંસ્થા દ્વારા સત્તાવાર રીતે પ્રસારિત કરવામાં આવેલા અહેવાલ મુજબ, દિલ્હીના જાણીતા એડવોકેટ વિરાગ ગુપ્તાએ ભારતીય પાસપોર્ટ અને નાગરિકતાના મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ કાનૂની સ્પષ્ટતા કરી છે. પાસપોર્ટને નાગરિકતાના દસ્તાવેજ તરીકે નકારવા અંગેના નિવેદનોને તેમણે સદંતર ખોટા ગણાવ્યા છે.
એડવોકેટ વિરાગ ગુપ્તાએ સ્પષ્ટ કર્યું હતું કે, મને લાગે છે કે પાસપોર્ટને પુરાવો ન માનવો તે એક ખોટું નિવેદન છે, કારણ કે તે ભારતીય પાસપોર્ટની વિશ્વસનીયતા પર સીધો સવાલ ઉઠાવે છે. આજે વૈશ્વિક સ્તરે ભારતનો પાસપોર્ટ ૭૫મા ક્રમે આવે છે.
કાયદાકીય જોગવાઈઓનો વિસ્તૃત હવાલો આપતા તેમણે જણાવ્યું હતું કે, ભારતીય કાયદા મુજબ માત્ર ને માત્ર ભારતીય નાગરિકો જ ભારતીય પાસપોર્ટ મેળવવા માટે હકદાર છે. જો કોઈ બિન-નાગરિકે પાસપોર્ટ મેળવવો હોય, તો તે માત્ર કેન્દ્ર સરકારની વિશેષ મંજૂરી કે સમર્થનથી જ શક્ય બની શકે છે.
જો કોઈ વ્યક્તિ ખોટા દસ્તાવેજોના આધારે ગેરકાયદેસર રીતે ભારતીય પાસપોર્ટ મેળવે છે, તો તેની સામે કડક કાર્યવાહીની જોગવાઈ છે. આવા કિસ્સાઓમાં પાસપોર્ટ એક્ટની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધીને તે વ્યક્તિ સામે કાયદાકીય રાહે કામ ચલાવી શકાય છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આ કારણોસર, જે પણ વ્યક્તિ પાસે કાયદેસરનો ભારતીય પાસપોર્ટ છે, તેને ભારતીય નાગરિક તરીકે જ ગણવો જોઈએ. પાસપોર્ટ એ નાગરિકતાનો એક સંપૂર્ણ માન્ય અને કાનૂની પુરાવો છે.
દેશના બંધારણીય માળખા વિશે વાત કરતા ગુપ્તાએ સ્પષ્ટતા કરી હતી કે, ભારતનું બંધારણ નાગરિકોને એકલ નાગરિકતા (સિગલ સિટિઝનશિપ) પ્રદાન કરે છે. આથી દેશના કોઈપણ રાજ્ય કે રાજ્ય સરકારો પાસે નાગરિકતા નક્કી કરવાનો કોઈ જ અધિકાર નથી. છેલ્લે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચની મતદાર યાદીમાં નામ હોવું અને ભારતીય પાસપોર્ટ ધરાવવો – આ બંને નાગરિકતા સાબિત કરવા માટેના માન્ય અને કાયદેસરના દસ્તાવેજો છે.
