ભારતમાં કેન્સરના વધતા જતા કેસો અને મેડિકલ સંસાધનોની અછત વચ્ચે નવી દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) અને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ એ સાથે મળીને એક ક્રાંતિકારી સફળતા મેળવી છે. બંને સંસ્થાઓએ સંયુક્ત રીતે ‘iOncology.ai’ નામનું અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ વિકસાવ્યું છે. આ કોઈ સામાન્ય ગેજેટ નથી, પરંતુ એક એવું ડિજિટલ હથિયાર છે જે દેશમાં ખાસ કરીને મહિલાઓમાં જોવા મળતા સ્તન અને અંડાશયના કેન્સરની વહેલી શોધ, સ્ક્રીનીંગ અને સારવારના આયોજનમાં ડોક્ટરો માટે ગેમ-ચેન્જર સાબિત થશે.
આ પ્લેટફોર્મની ખાસિયત એ છે કે તેના AI મોડેલને સંપૂર્ણપણે ભારતીય દર્દીઓના તબીબી ડેટા અને ભૌગોલિક પરિસ્થિતિઓ પર ટ્રેઇન કરવામાં આવ્યું છે, જેનાથી તેના પરિણામો અત્યંત સચોટ મળે છે. તે રેડિયોલોજિસ્ટ્સ અને પેથોલોજિસ્ટ્સને ક્લિનિકલ ડેટાના આધારે ઝડપી અને પુરાવા-આધારિત નિર્ણયો લેવામાં મદદ કરશે. આ ઉપરાંત, આ પ્લેટફોર્મને ‘આયુષ્માન ભારત ડિજિટલ મિશન’ ઇકોસિસ્ટમ સાથે સાંકળી લેવામાં આવ્યું છે, જેથી દર્દીઓનો તમામ મેડિકલ હિસ્ટ્રી એક સુરક્ષિત સેન્ટ્રલાઇઝ્ડ ડેશબોર્ડ પર ઉપલબ્ધ રહેશે અને હેલ્થકેર સિસ્ટમ પરનું દર્દીઓનું સખત ભારણ પણ ઘટશે.
ભવિષ્યની યોજનાઓ અંગે નિષ્ણાતોએ જણાવ્યું કે, આ પ્લેટફોર્મમાં હવે “ડિજિટલ ટ્વીન” ટેકનોલોજી અને મલ્ટિ-ઓમિક્સ ડેટા ઉમેરવા પર કામ ચાલી રહ્યું છે, જે દર્દીના શરીરનું એક વર્ચ્યુઅલ સોફ્ટવેર મોડેલ બનાવીને સારવારની અસરનો અગાઉથી અભ્યાસ કરશે. આ સિસ્ટમમાં રહેલી ‘ટેલિપેથોલોજી’ સુવિધાને કારણે હવે અંતરિયાળ ગામડાઓમાં રહેતા દર્દીઓને પણ મેટ્રો સિટી જેવા જ કન્સલ્ટેશન અને સચોટ નિદાનનો લાભ ઘરઆંગણે મળશે. જોકે, નિષ્ણાતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે લોકોએ સામાન્ય ઓનલાઈન AI ટૂલ્સ કે ગુગલ સર્ચ પર આધાર રાખીને જાતે દવાઓ લેવાના બદલે હંમેશા લાયક ઓન્કોલોજિસ્ટની જ સલાહ લેવી જોઈએ.
