અમદાવાદમાં આગામી 16 જુલાઈ, 2026 (અષાઢ સુદ બીજ) ના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા ભવ્ય રીતે નીકળવા જઈ રહી છે. જમાલપુર દરવાજા બહાર આવેલા શ્રી જગન્નાથજી મંદિરના પ્રાંગણમાંથી સવારે 7:00 કલાકે આ દિવ્ય મહોત્સવનો શુભારંભ થશે. ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી અદભુત રથમાં સવાર થઈને ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળશે.
આ ભવ્ય રથયાત્રાના પ્રારંભ પૂર્વે પરંપરાગત પહિન્દ વિધિ યોજાશે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના શુભ હસ્તે સોનાના સાવરણાથી રથનો માર્ગ સાફ કરી, રથ ખેંચીને યાત્રાનો વિધિવત પ્રારંભ કરાવવામાં આવશે. આ વર્ષે રથયાત્રા મહોત્સવના મુખ્ય યજમાન તરીકે નિતિનભાઈ રતીભાઈ પટેલ અને શ્રીમતિ સુલોચનાબેન પટેલ સેવા આપશે.
આ અલૌકિક ધાર્મિક પ્રસંગે અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહીને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરશે. જેમાં નિરમા પરિવારના ડો. કરસનભાઈ પટેલ, ઝાયડસ પરિવારના પંકજભાઈ રમણભાઈ પટેલ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ ધનરાજભાઈ નથવાણી વિશેષ હાજરી આપશે. જગગુરુ દિલીપદેવાચાર્યજી મહારાજ દ્વારા તમામ શ્રદ્ધાળુઓને આ મહોત્સવમાં પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભગવાનનો રથ શહેરના નિર્ધારિત રૂટ પર પરિક્રમા કરી રાત્રે 8:30 કલાકે નિજ મંદિરે પરત ફરશે. લાખો શ્રદ્ધાળુઓના મહેરામણ વચ્ચે નીકળતી આ રથયાત્રાને લઈને સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
