એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 દુર્ઘટનાના એક વર્ષ પછી પણ આ ઘટનાએ ઉડ્ડયન ક્ષેત્રમાં ગંભીર ચર્ચાઓ જગાવી છે. આ કરુણ ઘટનાના એક વર્ષ બાદ, ફેડરેશન ઓફ ઈન્ડિયન પાઈલટ્સ(FIP)એ આ મામલે ફરીથી સક્રિયતા દર્શાવી છે અને દુર્ઘટનાના કારણોની નિષ્પક્ષ તેમજ ઉચ્ચસ્તરીય તપાસ કરવાની જોરદાર માંગ ઉઠાવી છે.
ગત વર્ષે બનેલી AI-171 દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. હવે, એક વર્ષ બાદ ફેડરેશન ઓફ ઈન્ડિયન પાઈલટ્સનું માનવું છે કે આ દુર્ઘટના પાછળના તકનીકી કારણો, માનવીય ભૂલો અથવા સિસ્ટમની ખામીઓ અંગે હજુ પણ ઘણા પ્રશ્નો વણઉકેલ્યા છે. એસોસિએશને ભારપૂર્વક જણાવ્યું છે કે સુરક્ષાના ધોરણોને વધુ મજબૂત કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે આ કેસની ફરીથી ઊંડાણપૂર્વક તપાસ થવી અનિવાર્ય છે.
ફેડરેશનના જણાવ્યા અનુસાર, ફ્લાઈટ સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન થવી જોઈએ. તપાસમાં વિલંબ અથવા અધૂરી માહિતીને કારણે પાઈલટ્સ અને મુસાફરોની સુરક્ષા પર પ્રશ્નાર્થ ચિન્હ લાગે છે. સંગઠને માંગ કરી છે કે તપાસ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવામાં આવે અને જે પણ ખામીઓ સામે આવે તેને સુધારવા માટે ત્વરિત પગલાં ભરવામાં આવે.
આ ઘટના બાદ ઉડ્ડયન નિષ્ણાતો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ભારતીય હવાઈ સુરક્ષા પ્રોટોકોલમાં કોઈ બદલાવની જરૂર છે? પાઈલટ્સ સંગઠન એવી દલીલ કરી રહ્યું છે કે માત્ર રિપોર્ટ્સ તૈયાર કરવા પૂરતું સીમિત ન રહેતા, તેની પાછળના ગ્રાઉન્ડ લેવલના કારણોની પણ તપાસ થવી જોઈએ.
કેપ્ટન અમિત સિંઘ, જેઓ એક અનુભવી પાઇલટ છે અને ‘સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન’ના સ્થાપક છે, તેમણે દુર્ઘટનાના તકનીકી પાસાઓ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમનો મુખ્ય તર્ક એ છે કે તપાસ માત્ર પાઇલટની ભૂલ (Pilot Error) પર કેન્દ્રિત ન રહેતા, વિમાનની તકનીકી સિસ્ટમની નિષ્ફળતા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
કેપ્ટન સિંઘે જણાવ્યું હતું કે વિમાન ટેક-ઓફ થયા પછી જે રીતે દુર્ઘટના સર્જાઈ, તે સૂચવે છે કે વિમાનમાં કોઈ ગંભીર ઈલેક્ટ્રિકલ ફેલ્યોર હોઈ શકે છે. તેમણે વિમાનના વ્હીલ્સ પાસેથી નીકળતા ધુમાડાનો ઉલ્લેખ કર્યો હતો, જે બ્રેકિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામી અથવા શોર્ટ સર્કિટ તરફ સંકેત કરે છે
વિમાન દુર્ઘટનાગ્રસ્ત થાય ત્યારે ELT સિસ્ટમ આપમેળે સક્રિય થવી જોઈએ, જેથી બચાવ કામગીરી માટે વિમાનનું ચોક્કસ સ્થાન મળી શકે. કેપ્ટન સિંઘે સવાલ ઉઠાવ્યો છે કે જો આ સિસ્ટમ નિષ્ફળ ગઈ હોય, તો તે દર્શાવે છે કે વિમાનની મુખ્ય ઈલેક્ટ્રિકલ પાવર લાઈનમાં કોઈ મોટો વિક્ષેપ હતો.
તેમણે એક વર્ષ વીતી ગયા પછી પણ અંતિમ તપાસ અહેવાલ ન આવવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમનું માનવું છે કે, તપાસ એજન્સીઓએ અધૂરા તારણો પર આધાર રાખવાને બદલે ફોરેન્સિક અને ટેકનિકલ પુરાવાઓને પ્રાથમિકતા આપવી જોઈએ. આવી ગંભીર દુર્ઘટનામાં પાયલોટની ભૂલનું કારણ આપીને કેસ બંધ કરી દેવો એ સલામતીના દૃષ્ટિકોણથી ખતરનાક બની શકે છે.
હવે ઉડ્ડયન મંત્રાલય અને DGCA (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) આ મામલે કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું. ફેડરેશન દ્વારા કરવામાં આવેલી આ માંગ એર ઈન્ડિયા અને ઉડ્ડયન સત્તામંડળ માટે એક સીમાચિહ્નરૂપ બની શકે છે.
અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ A1-171 ટેકઓફ થયાના થોડી મિનિટો પછી ક્રેશ થઈ ગઈ, જેમાં 260 મુસાફરોના મોત થયા હતા. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બોર્ડ (AAIB) AI-171 ક્રેશની તપાસ કરી રહ્યું છે. અંતિમ અહેવાલ હજુ સુધી બહાર પાડવામાં આવ્યો નથી. પ્રારંભિક અહેવાલમાં પાઇલટની બેદરકારીને કારણે આ દુર્ઘટના થઈ હોવાનું જણાવાયું છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે AAIB એ હજુ સુધી યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને યુકે સિવિલ એવિએશન ઓથોરિટી (CAA)ને તેના અંતિમ તપાસ અહેવાલનો ડ્રાફ્ટ સુપરત કર્યો નથી. આ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO)ના નિયમો હેઠળ જરૂરી છે, કારણ કે વિમાનનું ઉત્પાદન યુએસમાં કરવામાં આવ્યું હતું અને યુકે સિવિલ એવિએશન ઓથોરિટી તપાસ પ્રક્રિયાનો ભાગ હતી.
