અષાઢ સુદ પૂનમ એટલે ગુરૂપૂર્ણિમાનોનો દિવસ, ગુરૂના ઉપકારોથી હૃદય ભરાય આવ્યું હશે ! એટલે જ કોઇ કૃતજ્ઞ માનવે ગાયું હશે કે
‘ગુરૂબ્રહમા ગુરૂવિષ્ણુ ગુરૂદેવો મહેશ્વર ગુરૂ સાક્ષાત પરં બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરૂવે નમઃ’
બ્રહ્માની જેમ સદ્દગુણોના સર્જક વિષ્ણુંની જેમ સદ્દવૃતિના પાલક અને મહાદેવની જેમ દુર્ગુણો અને દુવૃતિના સંહારક તેમજ જીવ અને શિવનું મિલન કરાવનાર ગુરૂએ સાક્ષાત પરબ્રહ્મ સમાન છે.
ગુરૂનું પુજન એ ભારતીય સંસ્કૃતિનું સુમધુર તેમજ ભાવભીનું છે. ગુરૂ પાસે પહોંચતા જ બધ્ધિ ગ્રહણશીલ બને છે તેમનો સહાવાસ એવો મધુર હોય છે કે તેમાથી વિખુટા પડવાનું મન જ થતું નથી તેમના એક જ સ્મિતે વર્ષોનો થાક દુર થાય છે. આવા ગુરૂનું પુજન ભારતીય પરંપરા છે. બુધ્ધિમાં હિમાલય ગણી શકાયએવા શ્રીમદ્દ આદ્ય શંકરાચાર્ય જેવા પણ ગુરુનું નામ આવતા જ ભાવભીંના થઇ જાય છે.
જ્ઞાન આપનાર સદ્દગુરૂને ઉપમા આપી શકાય એવું ત્રણે લોકમાં દૃષ્ટાંત જ નથી આપવી જ હોય તો લોઢાનું સોનું બનાવનાર પારસમણિની ઉપમા આપી શકાય, પરંતુ તે પણ અધુરી છે. પારસમણી લોખંડને સોનુ બનાવે છે પરંતુ પોતાના જેવી પારસમણી બનાવતી નથી ગુરૂ તો શિષ્યને પોતાનું ગુરુત્વ આપે છે અને તેથી જ શિષ્ટને પોતાની પ્રતિમૂર્તિરૂપે તૈયાર કરનાર ગુરુ નિરૂપમ છે.
ભારતીય સંસ્કૃતિએગુરૂઓમાં કળશરૂપ સદગુરુને હંમેશા પુજયા છે. વિશ્વની અનંતતાનું તેમજ સૃષ્ટિના જ્ઞાનનું દર્શન કરાવે છે. પરંતુ સદ્દગુરૂ જીવનની કલા શીખવી માનવને ઇશ્વરભિમુખ કરાવે છે. (બનાવે છે) આધ્યાત્મવિદ્યાનું દર્શન કરાવનાર સદ્દગુરૂ છે, જીવનને સુંદર, નિર્દોષ, પવિત્ર બનાવી આપણો હાથ પકડી પ્રભુચરણમાં આપણને લઇ જનાર આ સદ્દગુરૂ છે.
બ્રહ્મના આનંદરૂપ પરમ સુખ-રૂપ જ્ઞાનમૂર્તિ દ્રન્દ્રથી પર આકાશ જેવા નિલેપ અને સુક્ષ્મ ‘તત્વમસિ’ તેજ તું છે. એ જ ઇશતત્વ તું છે. તેની અનુભૂતિ એ જ જેનું લક્ષ છે અદ્દિતીય નિત્ય, વિમલ અચલ કોઇપણ ભાવથી પર ત્રિગુણરહિત એવા સદ્દગુરૂને હું નમસ્કાર કરૂં છું.
વાસના, વિકારના આ પૂતળાને માંસ-માટીના ગોળાને જેણે આકાર આપ્યો, ચિરંતર સુખ અને શાંતિનો માર્ગ દાખવ્યો, માનવ થઇ પશુતુલ્ય જીવન જીવતાએવા મને નારાયણ થવાનો પર્થ દાખવ્યો તે ગુરુનું પુજન નહિ કરવાનું તો બીજા કોને ભગવાન તુલ્ય ગણવાના ? અનંત ઋુણનો બદલો હું કઇ રીતેવાળું ? કૃતજ્ઞતાપૂર્વક તેનું પુજન કરીને તેણે દાખવેલા જીવનપથ પર આગળ વધીને તેના ધ્યેયને આગળ ધપાવીને, તેણે પ્રગટાવેલી જ્ઞાનજયોતને સતત પ્રજવલિત રાખીને આવા ગુરુને કાંઇ આપવાનું હોતું નથી, અને તેને આપીએ તેટલું ઓછું જ છે. ગુરુની વિશિષ્ટતા જ એ છે કે તેને ગમે તે આપો તે ઘણજ્ઞુ સમજી લે છે. આપણા શાષાકારો તો કહે છે કે તારી પાસે બીજું કાંઇ ન હોય તો વાંધો નહિ, એકાદ ફૂલ લઇને તેની પાસે જા.
કૃતજ્ઞતાના પ્રતિક તરીકે તેને ચરણે યથાશકિત દક્ષિણા આપવાનો દિવસ એટલે ગુરૂપૂર્ણિમા, ગુરુુના ચરણે આપણે જે કંઇપણ ધરીએ તે જો ગુરુ દ્વારા સ્વીકાર્ય બને તો તેમાં આત્મકલ્યાણ સમાયેલું છે. આપણે ગુરુની સેવા શું કરવાના હતા ? ખરુ જોતાં તો આપણા મૃતજીવનમાં સંજીવની પાનાર ગુરુ જ આપણી સાચી સેવા કરે છે.
સંત કબીરે ભાવપૂર્ણ અંતઃકરણથી કહયું છે કે
ગુરૂ ગોવિન્દ્ર દ્દોનુ ખડે કાકે લાગુ પાય
બલિહારી ગુરુદેવકી ગોવિન્દ દિયા બતાય !
કબીરના આ દોહામાં ગુરુની શ્રેષ્ઠતા સ્પષ્ટ રીતે દૃષ્ટિગોચર થાય છે ગોવિન્દને બતાવનાર ગુરૂ જ ગોવિન્દ રતા શ્રેષ્ઠ છે. કારણ કે એના વગર આપણે ગોવિન્દનો મહિમા શી રીતે જાણી શકીએ ? પરંતુ એક સ્થિતી એવી પણ આવે છે કે જયારે ગુરુ અને ગોવિન્દમાં સાચા શિષ્યને ભેદ જ જણાતો નથી. પરંતુ આમ છતાય કબીરના દોહામાં એક બીજું માધુર્ય સમાયેલું છે. જરાજુદા સંદર્ભમાં એને સમજવાનો પ્રયત્ન કરીએ તો કબીરજી કહે છે કે, ગુરુ ગોવિન્દ બેમાંથી કોને પગે લાગુ ? આ મૂંઝવણ જયારે મારા મનમાં ઊભી જઇ ત્યારે ગુરૂદેવની બલિહારી છે કે તેમણે મને ગોવિન્દ બતાવી દીધો પ્રભુ તરફ ઇશારો કરી તેને જ પગે લાગવાનું જણાવ્યું ! સાચો ગુરુ સૌની ગોવિન્દનિષ્ઠા, ઇશ્વરનિષ્ઠા જ વધારતો જાય છે.
આજે ગુરુપુજા, ગુરુવાદમાં પરિણમી છે, ગુરૂપૂજાનો ગુરુવાદ થવાથી માનવી અંધશ્રધ્ધા અને અજ્ઞાનતાના અંધકારમાં અથડાયા કરે છે. ગુરૂપુજાનું સુંદર રીતે ખીલેલું અને સૌરભથી મહેકતું પુષ્પ ગુરુવાદે ચીમળી નાખ્યું છે.
બાપ ડોકટર કે એન્જિનિયર હોય તેટલા પરથી જ માત્ર આપણે તેના દિકરાને ઓપરેશન કરવાનું કે મકાન બાંધવાનું કામ સોપતા નથી. તે કામો કરવા માટે તેવા પ્રકારની યોગ્યતા દિકરાએ પણ પ્રાપ્ત કરેલી હોવી જોઇએ, તેની આપણે તકેદારી રાખીએ છીએ પણ અહીં માત્ર પરંપરાથી ગુરુના દિકરાને તેની યોગ્યતા જોયા વગર ગુરૂ તરીકે સ્વીકારી લઇએ છીએ, આનાથી મોટી બાલિશતા બીજી કોઇ હોય શકે ?
જ્ઞાનના સૂર્ય પ્રેમના મહાસાગર અને શાંતિના હિમાલય જેવા ગુરૂનું આ દિવસે પૂજન કરવાનું હોય છે. ગુરુપૂજન એટલે સત્યનું પુજન એટલે સત્યનું પુજનપ ગુરુપુજન એટલે જ્ઞાનનું પુજન, ગુરુપુજન એટલે અનુભવોનું પુજન પરંતુ આ કાળમાં આવા સદ્દગુરુ ન મળે તો ? કૃષ્ણ વંદે જગદ્દગુરુમ્ ભગવાન કૃષ્ણને ગુરૂ બનાવી તેમણે દાખવેલા જીવનરાહ પર ચાલવું તે જ શ્રેયકાર છે.
સાચી ગુરુપુજા કરતા ગુરુજીવનનું ગૌરવ આપણા જીવનમાં પ્રગટો એ જ આજના દિવસે સદ્દગુરુ અને જગતગુરુના ચરણોમાં પ્રર્થના છે. -અસ્તુ-
