નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા તેમના નવમા બજેટમાં મધ્યમ વર્ગ અને પગારદાર કરદાતાઓ માટે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વધતી જતી મોંઘવારી અને ખર્ચ વચ્ચે સામાન્ય જનતાને ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની આશા હતી, પરંતુ સરકારે ટેક્સના માળખામાં કોઈ નવી જાહેરાત કરી નથી. જોકે, બજેટની અન્ય જોગવાઈઓમાં મધ્યમ વર્ગ અને નાના રોકાણકારો માટે વૃદ્ધિની તકો રહેલી છે.
ઇન્કમ ટેક્સમાં સ્થિતિ યથાવત
આ વર્ષે પગારદાર કરદાતાઓ માટે કોઈ નવી ટેક્સ રાહત આપવામાં આવી નથી. સરકારે હાલની ટેક્સ પોલિસીમાં કોઈ ફેરફાર કર્યો નથી. પ્રવર્તમાન સિસ્ટમ મુજબ, વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ-ફ્રી રહેશે. જેમાં 75,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનને ઉમેરતા કુલ 12,75,000 રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. આ વર્ષે ટેક્સ સ્લેબમાં કોઈ નવા સુધારા કરવામાં આવ્યા નથી.
વિદેશ પ્રવાસ અને શિક્ષણ પર TCSમાં ઘટાડો
વિદેશી નાણાકીય વ્યવહારો અને નિયમોના બોજને ઘટાડી મધ્યમ વર્ગને રાહત આપવાનો પ્રયાસ કરાયો છે,
* વિદેશી ટૂર પ્રોગ્રામ પેકેજ પર લાગતો ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS) હાલના 5% અને 20% થી ઘટાડીને માત્ર 2% કરવાનો પ્રસ્તાવ છે.
* લિબરાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ વિદેશમાં શિક્ષણ અને તબીબી હેતુ માટે મોકલવામાં આવતા નાણાં પરનો TCS પણ 5% થી ઘટાડીને 2% કરવામાં આવશે.
કઈ ચીજો સસ્તી થશે?
બજેટમાં ડ્યુટીમાં છૂટછાટ આપવાના કારણે કેટલીક જરૂરી વસ્તુઓના ભાવ ઘટશે:
* કેન્સરની અંદાજે 17 જેટલી દવાઓ સસ્તી થશે.
* અન્ય સાત દુર્લભ બીમારીઓની દવાઓ માટે ડ્યુટી-ફ્રી પર્સનલ ઈમ્પોર્ટની મંજૂરી આપવામાં આવી છે.
* આ ઉપરાંત માઇક્રોવેવ ઓવન, ટીવી ઇક્વિપમેન્ટ, લેધર ગુડ્સ અને ફૂટવેર બનાવવા માટે વપરાતા મોંઘા ઘટકો પર ડ્યુટી ઘટતા આ ઉત્પાદનો સસ્તા થવાની આશા છે.
રોજગાર અને વિકાસ પર ભાર
સરકારે આર્થિક ગતિવિધિઓને વેગ આપવા માટે કેપિટલ ખર્ચનું બજેટ વધારીને 12 લાખ કરોડ રૂપિયાથી વધુ કરી દીધું છે. પ્રવાસન (ટુરિઝમ), રેલવે અને ટેકનોલોજી સેક્ટર માટે વિશેષ ફાળવણી કરવામાં આવી છે, જેનાથી મોટા પાયે રોજગારીની તકો ઊભી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. લોજિસ્ટિક્સ સેક્ટરના વિકાસ પર પણ બજેટમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
