આખા દેશમાં ઈન્ટરનેશનલ ફલાઈટ, સિનેમા હોલ્સ, જિમ્સ સહિત ઘણું-બધું હજુય બંધ છે. કેન્દ્ર સરકાર ઈન્ટરનેશનલ ફલાઈટમાં આવનારા પેસેન્જર્સ માટે કોરોના નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરવા ઉપરાંત એરપોર્ટ પર પણ તેમનું ટેસ્ટિંગ થાય તેવું ઈચ્છે છે. સિનેમા હોલ્સને પણ બાળકો અને વરિષ્ઠ નાગરિકો સિવાયના લોકો માટે ખૂલ્લા મૂકવાનો પ્લાન છે.
સરકાર ૧૫ જુલાઈથી જ ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂ કરવા માગતી હતી. પરંતુ હવે તે વધુ ડેટા અને ફીડબેક મેળવ્યા બાદ ૩૧ જુલાઈ બાદ આ અંગેનો આખરી નિર્ણય લેશે. ૪૮-૭૨ કલાકથી લાંબી ફલાઈટ ના હોય તેવા પેસેન્જર્સને કોરોના નેગેટિવ રિપોર્ટ સાથે જ મુસાફરીની મંજૂરી અપાશે. જેનો રિપોર્ટ નેગેટિવ હોય પરંતુ કોરોનાના લક્ષણો જણાતા હોય તેમને પણ મુસાફરી માટે પરવાનગી નહીં મળે.તેવી જ રીતે વિદેશથી ભારતમાં આવનારાએ પોતાના ખર્ચે એરપોર્ટ પર ટેસ્ટ કરાવવો પડશે તેવી પણ દરખાસ્ત છે. રેપિડ એન્ટિજેન ટેસ્ટિંગમાં ૩૦-૪૫ મિનિટમાં રિઝલ્ટ આવી જાય છે અને તેની કિંમત ૫૦૦ રૂપિયા થાય છે.
જો આ પ્રોસેસ પણ અમલમાં આવશે તો પેસેન્જરને લેન્ડિંગ બાદ એરપોર્ટથી બહાર નીકળવામાં જેટલો સમય લાગે છે તેમાં વધારાના એકથી બે કલાક ઉમેરાઈ જશે. જો એરપોર્ટ પર ઉતરેલો કોઈ પેસેન્જર પોઝિટિવ આવશે તો તેને પોતાના ખર્ચે કવોરન્ટાઈન થવું પડશે. વિદેશથી આવેલાને હોમ કવોરન્ટાઈન થવા અંગે હાલ કોઈ પ્લાન નથી.સિવાય જિમ અને ફિટનેસ સેન્ટર પણ પૂરતી તકેદારી સાથે ફરી શરૂ કરવા અંગે સરકાર વિચાર કરી રહી છે.
