અમદાવાદના નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે. કિરીટ પરમાર અમદાવાદના નવા મેયર બન્યા છે. ઠક્કરબાપા નગર વોર્ડના ઉમેદવાર કિરીટ પરમાર પરની પ્રદેશ ભાજપે પસંદગી કરી છે.
ગરીબ પરિવારમાંથી આવતા અને ચાલીમાં રહેતા કિરીટ પરમારની પસંદગી કરીને ભાજપે શહેરના શાસક કેવા હોવા જોઈએ તેનું ઉદાહરણ આપ્યું છે.
કિરીટ પરમાર બાપુ નગર વિસ્તારમાં આવેલ અમદાવાદની વીરા ભગતની ચાલીમાં રહે છે. તેમનુ મકાન છાપરાવાળું છે. જાણીને આશ્ચર્ય થશે, પણ તેઓ એક રૂમના મકાનમાં જ રહે છે. અમદાવાદ શહેરના નગરપતિ તરીકે એકદમ સામાન્ય અને ગરીબ કોર્પોરેટરને સ્થાન આપીને ભાજપે એક મેસેજ આપ્યો છે.
કોઈ આલિશાન પરિવારમાંથી નહિ, પણ સામાન્ય ઘરમાંથી આવે છે અમદાવાદ ના નવા મેયર. આ સાથે જ ભાજપે નગરના લોકોને સંદેશો આપ્યો છે કે, સામાન્ય પરિવારમાંથી આવતા માણસો પણ ઉચ્ચ પદ પર બિરાજમાન થઈ શકે છે. અડધાથી વધુ અમદાવાદીઓને ખબર પણ નહિ હોય કે, હીરાભગતની ચાલી ક્યાં આવી છે. ત્યારે નાનકડી એવી ચાલીના નાનકડા એવા છાપરાનું મકાન શહેરના નવા મેયર કિરીટ પરમારનુ નિવાસસ્થાન છે. તેથી જ પોતાની પસંદગી મેયર તરીકે થતા કિરીટ પરમાર આંખમાં આવી નીકળેલા આસું રોકી શક્યા ન હતા. તેઓ ભાવુક થઈ ગયા હતા.
મેયર બનનાર કિરીટ પરમારે કહ્યું કે, હું પક્ષનો આભારી છું. સામાન્ય પરિવાર અને ચાલીમાં જન્મ લઈને કોર્પોરેશનની સ્કૂલમાં ભણનાર, નાના પરિવારમાંથી આવનાર માણસને શહેરની પ્રતિષ્ઠિત પોસ્ટ પર બેસાડવા માટે હું ભાજપનો આભારી છું. હું ત્રણ વોર્ડમાંથી ઈલેક્શન લડ્યો છું. ત્રણેયમાંથી જીતીને આવ્યો છું. અહીંની ભૌગોલિક સ્થિતિથી હું વાકેફ છુ. કોર્પોરેશનના વિકાસના કામ ચાલી રહ્યા છે તેથી નાના માણસો સુધી પહોંચી શકીશ.
કિરીટ પરમારની છબી સામાજિક કાર્યકર તરીકેની છે. તેઓ વર્ષોથી સંદ્ય સાથે જોડાયેલા છે. પહેલીવાર પોટલિયા વોર્ડથી ચૂંટણી જીત્યા હતા અને આજે અમદાવાદના નવા મેયર બન્યા છે.
