છેલ્લા દોઢ વર્ષથી કોરોનાના આકરા નિયંત્રણો બાદ આ વર્ષે લગ્નસરાની ઝાકમઝોળ સ્પષ્ટપણે દેખાઇ રહી છે. લગ્નના મુહૂર્તોની વણઝાર વચ્ચે શહેરમાં શહેનાઇની ગૂંજ વાગી રહી છે. જોકે, હવે બુધવારે સૂર્યદેવના રાશિ પરિવર્તન, ધન રાશિમાં પ્રવેશ સાથે જ કમુરતાંની શરૂઆત થઇ જશે. તે સાથે જ એક મહિનો માટે લગ્નકાર્યો પર રોક લાગી જશે. ૧૪ જાન્યુઆરીએ બપોરે ૨.૩૦ વાગ્યા સુધી ધનારકને કારણે લગ્નસરા પર એક મહિના માટે અલ્પવિરામ મુકાઇ જશે.
હિન્દુ સનાતન ધર્મમાં દરેક કાર્યો માટે યોગ્ય મુહૂર્ત નિશ્યિત કરાયા છે. અમુક ચુભ કાર્યો અમુક સમયમાં નિષેધ માનવામાં આવે. આવો જ એક સમય ધનારક અને મીનારક ગણવામાં આવે છે. સૂર્યદેવ ધન રાશિ અને મીન રાશિમાં આવે ત્યારે ધન સંક્રાંતિ, મીન સંક્રાંતિ ગણવામાં આવે છે. આ સમયને કમુરતા કહેવામાં આવે છે. આ સમય લગભગ એક માસનો હોય છે. તેમાં લગ્ન, સગાઇ, મૂંડન, પ્રાણપ્રતિષ્ઠા, નવવધૂ પ્રવેશ, ગૃહ આરંભ, ગૃહપ્રવેશ, વ્રત આરંભ કે પારણા સહિતના શુભ કાર્યો નિષેધ માનવામાં આવે છે.
મહારાજ કિરીટદત્ત શુકલાએ જણાવ્યું હતું કે, ૧૫ ડિસેમ્બરના બુધવારના રોજ અખંડ-મત્સ્ય દ્વાદશી, સૂર્ય ધન-મૂળમાં પ્રવેશ સાથે ધનારક-કમુરતાં પ્રારંભ થશે. સૂર્યદેવ મધરાત્રિએ ૩.૪૬ વાગ્યે ધન રાશિમાં પ્રવેશ કરશે. આજથી કમુરતાં શરૂ થશે.
૧ ૪ જાન્યુઆરીના રોજ બપોરે ૨.૩૦ વાગ્યે સૂર્યદેવનો મકર રાશિમાં પ્રવેશ થશે. તે દિવસે મકરસંક્રાંતિની ઉજવણી સાથે જ કમુરતાં પૂરા થશે. ૧૪ જાન્યુઆરીએ દાનપર્વ, ગંગાસાગર ત્રિવેણી સંગમ સ્નાન પર્વ, સૂર્યપૂજા, તિલ સંક્રાંતિ, પોંગલ પર્વની રંગારંગ ઉજવણી થશે. હિન્દુ સમુદાયમાં દાનનું પર્વ ગણાતા મકરસંક્રાંતિની સાથે જ ઉત્તરાયણ પર્વ પણ મનાવાશો. પતંગ ઉડાડવાની મજાની સાથે જ ધાર્મિક રીતે પણ મકરસંક્રાંતિ પર્વનું ભારે મહાત્મ્ય આંકવામાં આવે છે. સૂર્યદેવના મકર રાશિમાં ભ્રમણ સાથે જ મકરસંક્રાંતિ કહેવામાં આવે છે.
૧૫ ડિસેમ્બરથી ૧૪ જાન્યુઆરી સુધી કમૂરતા રહેશે. ત્યાર બાદ સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સાથે જ કમૂરતા પૂરા થશે.

