AMC દ્વારા 8 જેટલી મિલકતોમાં ફાયર NOCને લઈને બેદરકારી સામે આવતા સીલ કરાઇ છે. જેમાં 4 સિનેમા, 2 હોસ્પિટલ અને 2 ફૂડ કોર્ટ સીલ કર્યા છે. તેમાં સમર્પણ હોસ્પિટલ અને પ્લસ હોસ્પિટલ પણ સીલ કરાઇ છે. બોડકદેવ, થલતેજ, શીલજ ચંદલોડિયામાં થિયેટર સીલ કરાયા છે. ગત 25મી મેના રોજ રાજકોટ ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી જેમાં 28 જિંદગીઓ હોમાઈ ગઈ હતી.
ગોઝારી દુર્ઘટનાને પગલે રાજ્યભરમાં ફાયર સેફટીનો મુદ્દો ચર્ચામાં આવી ગયો હતો અને રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને વહીવટી તંત્ર દ્વારા તપાસ તેજ થઈ ગઈ છે. છેલ્લા કેટલાંક દિવસોથી ઠેર ઠેર તપાસ અને સીલિંગની કાર્યવાહી થઈ રહી છે. ત્યારે, અમદાવાદમાં ચેકિંગ અને સીલિંગની કાર્યવાહી કરવામાં આવી. જેમાં કુલ 8 એકમોને સીલ મારવામાં આવ્યા છે. આ તમામ એકમોમાં ફાયર સેફટી અને ફાયર NOCને લઈને બેદરકારી સામે આવી હતી. મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં 4 સિનેમા, 2 હોસ્પિટલ અને 2 ફૂડ કોર્ટ સીલ કરવામાં આવ્યા છે.
સાયન્સ સિટી વિસ્તારમાં આવેલ સમર્પણ હોસ્પિટલ સીલ કરવામાં આવ્યું હતું. તો બીજી બાજુ, એસ જી હાઇવે પર આવેલ પ્લસ હોસ્પિટલ પણ સીલ કરવામાં આવી છે. દર્દીઓને નવજીવન આપતા હોસ્પિટલમાં જ ફાયર સેફટીના અભાવો સામે આવ્યા હતા જેને લઈને બંને હોસ્પિટલો સીલ કરવામાં આવી છે. બોડક દેવમાં બોડકદેવમાં ફૂડ પાર્ક અને કોનપ્લેક્ષ શિલાઝ સિનેમા સીલ કરવામાં આવ્યું છે. તો થલતેજનું બન્ના મીનીપ્લેક્સ સિનેમા સીલ કરવામાં આવ્યું છે. તેમજ, ચાંદલોડિયામાં એપ્પલ મલ્ટિપ્લેકસ સિનેમાને પણ સીલ મારવામાં આવ્યું છે. સાથે સાથે શિલજમાં સ્માર્ટ થિયેટર સિલ કરાયું છે. આ તમામ એકમો ખાતે ફાયર NOC અને ફાયર સેફ્ટીના અભાવ સામે આવ્યા હતા જેને લઈને તમામને સીલ મારવામાં આવ્યા હતા.
