પોરબંદર છાયા વિસ્તારમાં આખલાઓનો આતંક વધ્યો છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા આખલા પકડવાની ઝુંબેશ અભરાઈ પર ચડાવી દીધી હોય તેમ ઝુંબેશ બંધ કરી છે. આથી પાલિકા તંત્ર દ્વારા આખલા પકડો અભિયાન શરૂ કરવા માંગ ઉઠી છે. રાજ્ય સરકારે આદેશ આપ્યા બાદ પોરબંદર છાયા પાલિકા તંત્ર દ્વારા આખલા સહિત રઝળતા પશુઓ પકડવાની કામગીરી ઝુંબેશ સ્વરૂપે ચલાવી હતી. આ કામગીરીમાં પોલીસ તંત્રને પણ સાથે રાખવામાં આવ્યા હતા. પરંતુ પ્રારંભે જ શુરા જેવો ઘાટ ઘડાયો હતો. શહેર માંથી થોડા થોડા સમયાંતરે ગણ્યા ગાંઠ્યા પશુ પકડ્યા બાદ આ આખલા પકડવાની ઝુંબેશ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી અને લાંબા સમયના વિરામ બાદ પણ આખલા પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી.
હાલ મુખ્ય માર્ગો પર આખલાઓ અડિંગો જમાવી બેઠા હોય છે જેથી વાહન ચાલકોને હાલાકી પડે છે અને વાહન સ્લીપ તથા અકસ્માતનો ભય રહે છે તો શહેરની ગલીઓમાં પણ આખલાઓનો ત્રાસ યથાવત રહ્યો છે. આખલા યુદ્ધે ચડતા નજરે ચડે છે જેથી લોકોને ગલી માંથી પસાર થવામાં પણ ભય રહે છે અને આખલા યુદ્ધને કારણે વાહનોને નુકશાન થઈ રહ્યું છે તેમજ આખલા યુદ્ધે ચડતા લોકોને ઈજા પહોંચે છે જેથી આ ગંભીરતાને ધ્યાને લઈને પાલિકા તંત્ર દ્વારા આખલા પકડવાની ઝુંબેશ ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.
