પેરેડાઈઝ સુપર માર્કેટની 60 દુકાનોની હરરાજી માટે ત્રણ પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ પાલિકા તંત્ર દ્વારા ભાડા અને ડિપોઝિટ ઘટાડવા સરકારને દરખાસ્ત કરવામાં આવી છે ત્યારે આ અંગે વહેલી તકે નિવેડો લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરમાં દાયકાથી પણ વધુ સમયથી પેરેડાઈઝ પાસે સુપર માર્કેટ બનાવવામાં આવી હતી. આ માર્કેટ જર્જરિત થઇ જતા ફરીથી સમારકામ કરાવી તંત્રએ જાહેર કર્યું હતુંકે, 60 જેટલી દુકાનો 9 વર્ષના ભાડા કરારથી પાઘડી લઈને આપવાની છે. એક દુકાનનું માસિક ભાડું રૂ. 10,588 થી માંડીને વધુમાં વધુ ભાડું રૂ. 27,102 રાખવામાં આવ્યું છે.
આ ભાડા પર જીએસટી અલગ રાખવામાં આવ્યો છે તેમજ ડિપોઝિટ પેટે ઓછામાં ઓછાં રૂ. 3 લાખ અને વધુમાં વધુ રૂ. 6 લાખ અપસેટ પ્રાઇઝ રાખવામાં આવી છે. પાલીકા તંત્રએ જણાવ્યું હતુંકે, આ ભાવો માર્ગ અને મકાન વિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. પાલિકા તંત્ર દ્વારા આ દુકાનોની હરરાજી માટે ત્રણ પ્રયાસ કર્યા હતા પરંતુ આ પ્રયાસ સફળ રહ્યા ન હતા જેથી પાલિકા તંત્ર દ્વારા સામાન્ય સભામાં નિર્ણય લઈ દુકાનોમાં ભાડા અને ડિપોઝિટ ઘટાડવા તથા ભાડા કરાર વધારવા અંગે સરકારને દરખાસ્ત કરી છે.
પરંતુ હજુસુધી આ અંગે કોઈ નિવેડો આવ્યો નથી. હજુ વધુ સમય પસાર થશે તો આ દુકાનો પડતર બની જશે અને ફરીથી જર્જરિત બની જશે તો સમારકામ માટે ખર્ચ કરવો પડશે જેથી આ દુકાનો પડી પડી બિસ્માર બને તે પહેલા દુકાનોના ભાડા અને ડિપોઝિટ ઘટાડી વધુ કરાર મુદ્દત આપી દુકાનોની હરરાજી કરી આ અંગે નિવેડો લાવવામાં આવે તેવી સામાજિક આગેવાન જયેશભાઈ સવજાણીએ સરકારને રજૂઆત કરી છે.
