અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 20 ફ્લાય ઓવર નિર્માણના નિર્ણય સામે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે 7 બ્રિજના 612.98 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ જંક્શન તથા પંચવટી જંક્શન પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે 185.12 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ સાથે 652 મીટર લંબાઈ સાથે 17 મીટર પહોળો પાંજરાપોળ જંક્શન ફ્લાય ઓવર બ્રિજ નિર્માણ પામશે. આ માટે અંદાજે 86.94 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આપી છે.
પંચવટી જંક્શન પરનો ફ્લાય ઓવર 98.18 કરોડના ખર્ચે નિર્માણ કરાશે. તે 779 મીટર લંબાઈ ધરાવતો અને 17 મીટર પહોળો બ્રિજ હશે.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાય ઓવરબ્રિજ ઘટક અન્વયે સમગ્ર રાજ્યમાં 75 થી વધુ ફ્લાય ઓવર બનાવવાની સામે અમદાવાદ મહાનગરમાં 20 ફ્લાય ઓવર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે અમદાવાદમાં આ પૈકીના 7 ફ્લાય ઓવર બ્રિજ માટે 612.86 કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક અનુમતિ આપેલી છે.
હવે અમદાવાદમાં બે નવા ફ્લાય ઓવર બ્રિજ માટેની મહાનગરપાલિકાએ કરેલી દરખાસ્ત શહેરી વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂ કરવામાં આવતા તેમણે 2023-24ના વર્ષમાં થયેલી જોગવાઈઓમાંથી 185.12 કરોડ ફાળવવા સૈદ્ધાંતિક અનુમોદન આપ્યું છે. રાજ્ય સરકારે શહેરોને આર્થિક રીતે ગતિશીલ, જીવંત, રહેવા લાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ સસ્ટેઇનેબલ અને કેપેબલ બનાવવા પર ધ્યાન આપવાની નેમ રાખી છે.
