તા.૧૧થી સમગ્ર ગુજરાત રાજયમાં ધો.૧૦-૧૨ ની પરીક્ષાનો પ્રારંભ થઇ રહયો છે. ઉનાળાની મોસમની સાથે રાજયભરમાં પરીક્ષાની મોસમ છવાશે. ગુજરાત રાજયના ૧૬ લાખથી વધુ પરીક્ષાર્થીઓ ધો.૧૦-૧૨ની પરીક્ષા આપવા ઉત્સુક છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦-૧૨ની પરીક્ષા ન્યાયીક માહોલમાં યોજાય, તમામ સ્તરે સુચારૂ આયોજન કરવામાં આવ્યુ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા રાજયકક્ષા તેમજ જિલ્લા મથકોએ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી છે. ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા તા.૧૧ માર્ચથી ૨૨ માર્ચ દરમ્યાન લેવાશે. ગુજરાત રાજયમાં ધો.૧૦ના ૯ લાખ ૧૭ હજાર ૬૮૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ ૬ લાખ ૨૧ હજાર પરીક્ષાઓ તેમની કારર્કીદીની અગત્યની કસોટી આપનાર છે.
ધો.૧૦-૧૨ની શિક્ષણબોર્ડની પરીક્ષા ન્યાયીક માહોલમાં યોજાય તે માટે શિક્ષણબોર્ડ દ્વારા રાજયકક્ષા અને જિલ્લાકક્ષાએ ખાસ એકશન પ્લાન તૈયાર કર્યો છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે અને ખોટો ભય ન રહે તે માટે ઉત્સાહપુર્વક સ્વાગત કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા તા.૧૧ માર્ચથી શરૂ થનારી ધો.૧૦-૧૨ ની પરીક્ષામાં ધો.૧૦માં ૯,૧૭,૬૮૭, ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૧,૩૨,૦૭૩ તેમજ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૪,૮૯,૨૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જયારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના છાત્રો માટે ઇજનેરી કોર્ષ માટે લેવાની ગુજકેટની પરીક્ષા તા.૩૧ માર્ચે લેવાશે. રાજયમાં ગુજકેટની પરીક્ષામાં કુલ ૧,૩૭,૭૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ધો.૧૦ ની પરીક્ષા સમગ્ર ગુજરાત રાજયના૯૮૧ કેન્દ્ર, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં અને વિજ્ઞાનપ્રવાહની પરીષા ૬૫૩ કેન્દ્રોમાં લેવાશે. ધો.૧૦-૧૨ની પરીક્ષામાં કેન્દ્રમાં મોબાઇલ કે અન્ય ઇલેકટ્રીક ગેજેટ લઇ જવા પર પ્રતિબંધ છે. ગુજરાતના તમામ પરીક્ષા કેન્દ્રો સી.સી.ટી.વી. કેમેરા હેઠળ લેવાશે. ધો.૧૦-૧૨ની પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીનો સમયસર પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચે તે માટે એસ.ટી. દ્વારા વિશેષ રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે.
ધો.૧૦-૧૨ ની પરીક્ષાના રાજયના ૧૪૦ સ્ટ્રોંગરૂમ ઉપર કડક પ્રબંધો વચ્ચે પ્રશ્નપત્રો મોકલાવામાં આવ્યા છે. જયાં થ્રી-લેયર સીકયુરીટી હેઠળ પ્રશ્નપત્રો સાચવામાં આવશે.
ધો.૧૦-૧૨ ની પરીક્ષા માટે સ્ટ્રોંગરૂમમાંથી નીકળેલા પ્રશ્નપત્રો નિયત પરીક્ષા કેન્દ્રો સુધી અને ત્યાંથી પરીક્ષા રૂમ સુધી પહોંચે તે માટે ‘‘પાટા” એપ્લીકેશનના માધ્યમથી પ્રશ્નપત્રોનું ટ્રેકીંગ કરવામાં આવશે. આવતીકાલથી ગુજરાતમાં જીલ્લા મથકોએ પરીક્ષા માટે ખાસ કન્ટ્રોલરૂમ ખુલી જશે.
આ વર્ષે લોકસભાની ચુંટણી હોય શિક્ષણબોર્ડ દ્વારા શિક્ષકો પાસેથી વહેલાસર ધો.૧૦-૧૨ની ઉતરવહી ચકાસણી કરવાનું આયોજન થયું છે. દર વર્ષ કરતા આ વર્ષે ધો.૧૦-૧૨ની પરીક્ષાનું વહેલુ પરિણામ જાહેર થશે. ધો.૧૦-૧૨ની પરીક્ષા દરમ્યાન જ ઉતરવહી મુલ્યાંકન તેમજ બીજા દિવસથી જ ગુણની એન્ટ્રી કરવામાં આવશે.
તમામ વિદ્યાર્થીઓને અમદાવાદ સમય સમાચારપત્ર તરફે હાર્દિક શુભેચ્છા,
