શહેરમાં એક પુત્રએ માતાની હત્યા કરીને પોતે પણ આપઘાત કરી લેવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આપઘાત કરનાર પુત્ર મૈત્રેય ભગત GLS કોલેજમાં ઇકોનોમિકસ વિભાગનાં પ્રોફેસર હતા. જ્યારે માતા દત્તા ભગત 75 વર્ષના હતા. પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી ફ્લેટમાં માતા અને પુત્ર એકલા જ રહેતા હતા.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં ઘણી જ ચકચારી ઘટના બની છે. આ એપાર્ટમેન્ટમાં રહેનાર GLS કોલેજના 42 વર્ષના પ્રોફેસર મૈત્રેય ભગતે મોડી રાતે પોતાની 75 વર્ષની માતા દત્તા ભગતની હત્યા કરી નાંખી છે. જે બાદ પુત્રએ પણ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
આપઘાત કરનાર મૈત્રેય ભગત GLS કોલેજમાં ઇકોનોમિકસ વિભાગનાં પ્રોફેસર હતા. આ ઘરમાં માતા અને પુત્ર એકલા જ રહેતા હતા. સવારે ઘરની બહાર દૂધ અને છાપા એમના એમ પડ્યા હોવાને કારણે પાડોશીઓને કાંઇ અઘટિત બન્યાની શંકા ગઇ હતી. જેથી પાડોશીઓએ ઘરનો દરવાજો ખોલીને જોતા પુત્ર મૈત્રય ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જે બાદ પાડોશીએ આ અંગે પોલીસને જાણ કરી હતી.
ઝોન -7ના ડીસીપી, શિવમ વર્માના જણાવ્યા પ્રમાણે, આ અંગેની જાણ અમને મળતા અમે અહીં તપાસ માટે આવ્યા હતા. અમારી ટીમે અહીં તપાસ કરતાં જાણ થઇ કે મૈત્રેય ભગતે આપઘાત કર્યો હોઇ શકે છે. મૈત્રેયની માતાનો મૃતદેહ પલંગ પર પડ્યો હતો. જેની પાસેથી રસોડામાં વપરાતી છરી પણ મળી આવી હતી. હાલ લાગી રહ્યુ છે કે ડિપ્રેશનને કારણે આવું બન્યું હોવું જોઇએ.
