મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા ભારે શોક અને અચોક્કસતાના માહોલ વચ્ચે આજે એક મોટો વળાંક આવ્યો છે. રાજ્યના શક્તિશાળી નેતા અજિત પવારના આકસ્મિક નિધન બાદ, તેમના પત્ની સુનેત્રા પવારે આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. સફેદ સાડીમાં સજ્જ સુનેત્રા પવારે જ્યારે શપથ લીધા ત્યારે સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું અને ‘અજિત દાદા અમર રહે’ના નારાઓથી પરિસર ગુંજી ઉઠ્યું હતું.
રાજભવનમાં સાદગીપૂર્ણ સમારોહ
મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુંબઈ ખાતે સુનેત્રા પવારને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે સુનેત્રા પવાર નાણા મંત્રાલય સિવાયના એ તમામ વિભાગો સંભાળશે જે અગાઉ અજિત પવાર પાસે હતા. NCP વિધાનસભા પક્ષ દ્વારા તેમને સર્વાનુમતે નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
કેવી રીતે સર્જાઈ આ સ્થિતિ?
ગયા બુધવારે સવારે ૮:૪૮ વાગ્યે મુંબઈથી બારામતી જઈ રહેલું અજિત પવારનું વિમાન ઉતરાણ સમયે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત પાંચ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. રાજ્યના સૌથી લાંબા સમય સુધી નાયબ મુખ્યમંત્રી રહેલા અજિત પવારના જવાથી સરકાર અને પક્ષમાં મોટું નેતૃત્વ શૂન્યાવકાશ સર્જાયું હતું, જેને પૂરવા માટે પક્ષે સુનેત્રા પવાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.
શરદ પવારની પ્રતિક્રિયા
બીજી તરફ, NCP સુપ્રીમો શરદ પવારે આ નિમણૂક અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે પત્રકાર પરિષદમાં સ્પષ્ટતા કરી હતી કે, “સુનેત્રા પવારને નાયબ મુખ્યમંત્રી બનાવવા અંગે મારી સાથે કોઈ સલાહ-સૂચન કરવામાં આવ્યું નહોતું. મને પણ આ બાબતની જાણ મીડિયા દ્વારા જ મળી છે.” શરદ પવારના આ નિવેદને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.
એક મજબૂત વારસો
અજિત પવાર મહારાષ્ટ્રના રાજકારણના ‘ચાણક્ય’ ગણાતા હતા. તેમણે પૃથ્વીરાજ ચવ્હાણથી લઈને એકનાથ શિંદે સુધીની વિવિધ સરકારોમાં છ વખત નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. હવે સુનેત્રા પવાર સામે પડકાર એ રહેશે કે તેઓ આ મુશ્કેલ સમયમાં પક્ષને કેવી રીતે એકજૂથ રાખે છે અને અજિત પવારના અધૂરા કાર્યોને કેવી રીતે આગળ ધપાવે છે.
