આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની એક એક્સક્લૂઝિવ ઑડિઓ ક્લિપ વાયરલ થઈ છે, જેમાં તેઓ ‘જીતુભાઈ’ નામની વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યા છે. આ વાતચીત પરથી સ્પષ્ટ થાય છે કે મહેસાણા પોલીસની વોરંટ બજવણીની કાયદેસરની પ્રક્રિયાને તેમણે પૂર્વ આયોજન કરીને ‘હેરાનગતિ’ તરીકે ખપાવી હતી. સહાનુભૂતિ મેળવવા માટે તેમણે પોતાની વૃદ્ધ માતાનો રાજકીય ઢાલ તરીકે ઉપયોગ કરવાની વાત આ ઓડિયો ક્લિપમાં સ્વીકારી છે, જેનાથી ફેસબુક લાઇવમાં તેમણે કરેલા આરોપોનું જૂઠ્ઠાણું પકડાઈ ગયું હોવાની ભારે ચર્ચા છે.
ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાના એક વાયરલ ઑડિઓએ ભારે ખળભળાટ મચાવ્યો છે. થોડા દિવસો પહેલા ગોપાલ ઇટાલિયાએ ફેસબુક પર લાઇવ થઈને એવો આરોપ લગાવ્યો હતો કે ગુજરાત પોલીસ અને સરકારના ઈશારે તેમના ઘરે જઈને તેમની વૃદ્ધ માતાને હેરાન કરવામાં આવી રહી છે. જોકે, હવે એક એક્સક્લૂઝિવ ઑડિઓ ક્લિપ અને ડિજિટલ મીડિયાના અહેવાલો સામે આવ્યા છે જે દર્શાવે છે કે આ આખો મામલો માત્ર રાજકીય રોટલા શેકવા માટે ઊભું કરાયેલું એક નાટક હતું તેવી પણ ચર્ચા જોવા મળે છે
વાયરલ થયેલી ઑડિઓ ક્લિપમાં ગોપાલ ઇટાલિયા ‘જીતુભાઈ’ નામની એક વ્યક્તિ સાથે ફોન પર વાતચીત કરી રહ્યા છે. જેમાં જીતુભાઈ તેમને મહેસાણા કોર્ટના વોરંટ અંગે અગાઉથી જ જાણકારી આપે છે અને પોલીસની સંપૂર્ણ પ્રોસિજર સ્પષ્ટપણે સમજાવે છે. જીતુભાઈ જણાવે છે કે પોલીસ પાસે હવે નવો નિયમ આવ્યો છે, જેમાં તેમણે પોર્ટલ પર સાબિતી માટે ઘરે જઈને ફોટા પાડીને અપલોડ કરવા પડે છે, જેથી સાબિત થાય કે તેઓ વોરંટ બજાવવા ગયા હતા.
આ સાંભળીને ગોપાલ ઇટાલિયા હકારાત્મક પ્રતિસાદ આપતા કહે છે કે, ‘હા તો એ પાડવા દ્યો ફોટા, એ તો આપણા માટે સારું ને, આપણે કહેવાનું કે ભાજપવાળા અમારી પાછળ પડ્યા છે.’ વધુમાં ગોપાલ ઇટાલિયા સ્પષ્ટ બોલે છે કે, ‘હા પણ માજી તો મળશે ને, આપણે કહેવા થાય કે મારી મા ને હેરાન કરે છે આ લોકો.’ આ વાતચીત પરથી એવું ઉપસી આવે છે કે પોલીસની કાયદેસરની કામગીરીને તેમણે જાણીજોઈને માતાની હેરાનગતિનું રૂપ આપી દીધું હતું.
પોલીસ વર્તુળોએ સ્પષ્ટ કર્યું છે કે મહેસાણા પોલીસ દ્વારા ગોપાલ ઇટાલિયાના ઘરે કરવામાં આવેલી કાર્યવાહી કોઈ ખોટી હેરાનગતિ નહોતી, પરંતુ તે એક રૂટિન કાયદાકીય પ્રક્રિયા હતી. વર્ષ ૨૦૨૦માં નોંધાયેલા એક ગુનામાં મહેસાણા કોર્ટે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યૂ કર્યું હતું. આ કેસ આઈપીસી કલમ ૧૪૩, ૩૪૧, ૧૮૮, ૨૬૯ અને મહામારી અધિનિયમ ૧૮૯૭ હેઠળ નોંધાયેલો છે. કોર્ટના આદેશનું પાલન કરવા પોલીસ માત્ર પોતાની કાયદાકીય ફરજ નિભાવી રહી હતી.
આ ઑડિઓ વાયરલ થતાં જ વિવિધ સમાચાર માધ્યમો અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ગોપાલ ઇટાલિયાના આ બેવડા વલણની આકરી ટીકા થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ સ્પષ્ટ કરે છે કે વોરંટની જાણકારી અગાઉથી હોવા છતાં, જનતાને ગુમરાહ કરવા અને સહાનુભૂતિ ઉઘરાવવા માટે પૂર્વ પ્લાનિગ સાથે આ આક્ષેપો કરવામાં આવ્યા હતા. ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી અને પોલીસ સામે ખોટી રીતે હેરાનગતિના આરોપો લગાવવા બદલ હવે ગોપાલ ઇટાલિયાની રાજકીય વિશ્વસનીયતા પર મોટા સવાલો ઊભા થઈ રહ્યાની ચોમેર ચર્ચા જોવા મળે છે.
