બિહારના રાજકારણમાં મંગળવારે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. મુખ્યમંત્રી નીતીશ કુમારના રાજીનામા બાદ હવે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી નવી સરકાર રચાવા જઈ રહી છે. ભાજપના દિગ્ગજ નેતા સમ્રાટ ચૌધરી બિહારના આગામી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે જેડીયુ ક્વોટામાંથી બે અનુભવી નેતાઓ વિજય કુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવ નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી સીએમ) તરીકે શપથ ગ્રહણ કરશે. આ સાથે જ બિહારને તેના ઈતિહાસમાં પ્રથમવાર ભાજપના મુખ્યમંત્રી મળવા જઈ રહ્યા છે.
૧૫ એપ્રિલે શપથ ગ્રહણ, મે મહિનામાં મંત્રીમંડળ વિસ્તાર:
૧૫ એપ્રિલના રોજ સવારે ૧૧ વાગ્યે પટનાના લોકભવન ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. શરુઆતમાં માત્ર મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રીઓ જ શપથ લેશે. જેડીયુ કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ વિજય ચૌધરી અને બિજેન્દ્ર યાદવના નામ પર મહોર મારવામાં આવી છે. મંત્રીમંડળનો સંપૂર્ણ વિસ્તાર મે મહિનાના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવશે, જેમાં અન્ય મંત્રીઓને સ્થાન આપવામાં આવશે. આગામી બે-ત્રણ દિવસમાં મંત્રીઓની યાદી પર કામ શરૂ કરવામાં આવશે.
વિજય કુમાર ચૌધરીનો પરિચય:
વિજય કુમાર ચૌધરી બિહારના રાજકારણનો અનુભવી ચહેરો અને નીતીશ કુમારના અત્યંત નજીકના સાથી માનવામાં આવે છે. રાજકારણમાં આવતા પહેલા તેઓ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. ૧૯૮૨માં પિતાના નિધન બાદ કોંગ્રેસની ટિકિટ પર પેટાચૂંટણી જીતીને તેમણે સંસદીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ૨૦૦૫માં તેઓ જેડીયુમાં જોડાયા હતા. તેઓ અગાઉ વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને શિક્ષણ, નાણાં તેમજ જળ સંસાધન જેવા મહત્વના વિભાગોનો કાર્યભાર સંભાળી ચૂક્યા છે.
બિજેન્દ્ર પ્રસાદ યાદવનો પરિચય:
બિજેન્દ્ર પ્રસાદ યાદવ બિહારના સૌથી વરિષ્ઠ અને અનુભવી રાજકારણીઓ પૈકીના એક છે. તેઓ ૧૯૯૦થી સતત સુપૌલ વિધાનસભા બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે. લાલુ પ્રસાદ યાદવની સરકારમાં ૧૯૯૦માં તેઓ પ્રથમવાર મંત્રી બન્યા હતા અને ત્યારથી તેઓ સતત સરકારમાં મંત્રીપદ ભોગવી રહ્યા છે. તેઓ જેડીયુના પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. હાલમાં તેઓ ઉર્જા વિભાગની સાથે નાણાં અને આયોજન જેવા મહત્વના ખાતાઓ સંભાળી રહ્યા છે.
આ નવી સરકારની રચના સાથે બિહારમાં સત્તાનું સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ૮૯ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો, જેના પરિણામે હવે સમ્રાટ ચૌધરીના નેતૃત્વમાં રાજ્યમાં વિકાસની નવી દિશા નક્કી કરવામાં આવશે તેવો આશાવાદ ભાજપ અને જેડીયુના કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે.
