શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના અત્યંત વ્યસ્ત કાર્યક્રમોને લીધે રૂબરૂ મતદાન કરવાને બદલે પોસ્ટલ બેલેટ સુવિધાનો ઉપયોગ કરીને ગુજરાતમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પોતાનો કિંમતી મત આપ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં રવિવારે યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મહાપર્વમાં પોતાનો મત નોંધાવ્યો છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા અગાઉથી જ વડાપ્રધાનના વ્યસ્ત શેડ્યૂલને કારણે પોસ્ટલ બેલેટ સિસ્ટમની માંગણી કરવામાં આવી હતી, કારણ કે તેઓ મતદાન માટે પોતાના હોમ સ્ટેટ ગુજરાત આવી શકે તેમ ન હતા. અમદાવાદ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ દ્વારા પ્રોટોકોલ મુજબ આ વ્યવસ્થા કરવામાં આવી હતી અને વડાપ્રધાનનો પોસ્ટલ બેલેટ મત ચૂંટણી પંચને પ્રાપ્ત પણ થઈ ગયો છે.
આ તમામ મતો આગામી ૨૮ એપ્રિલના રોજ મતગણતરી વખતે ખોલવામાં આવશે. લોકશાહીના આ પર્વમાં દેશના વડાપ્રધાને પણ પોતાની પવિત્ર ફરજ અદા કરીને તમામ નાગરિકોને ૧૦૦ ટકા મતદાન કરવા માટે ઉત્તમ પ્રેરણા પૂરી પાડી છે.
