ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે લોકશાહીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આ અવસરે ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે વહેલી સવારે પોતાના પરિવારના સભ્યો સાથે મતદાન મથક પર પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવાના લક્ષ્ય સાથે તેમણે લોકશાહીના પર્વમાં પોતાની નૈતિક જવાબદારી નિભાવી હતી.
ચૂંટણી એ વિકાસનો પાયો છે – જગદીશ વિશ્વકર્મા: મતદાન કર્યા બાદ પ્રસાર માધ્યમો સાથે વાતચીત કરતા જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી આપણા શહેર અને ગામડાઓના સર્વાંગી વિકાસનો અસલી પાયો છે. તેમણે લોકશાહીમાં મતદાનના મહત્વ પર ભાર મુકતા કહ્યું કે, દરેક મત કિંમતી છે અને તે પ્રગતિની દિશા નક્કી કરે છે. નાગરિકોને મતદાન કરવા વિનંતી: પ્રદેશ અધ્યક્ષે રાજ્યના તમામ ભાઈ-બહેનો અને મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે આહવાન કર્યું હતું. તેમણે અપીલ કરી હતી કે, લોકો ઘરની બહાર નીકળી વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરે અને મતાધિકારનો ઉપયોગ કરી દેશની લોકશાહી પ્રણાલીને વધુ સુદ્રઢ અને મજબૂત બનાવે. વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની જાગૃતિ જોવા મળી હતી, જેમાં પ્રદેશ અધ્યક્ષની હાજરીએ કાર્યકરો અને નાગરિકોમાં નવો ઉત્સાહ ભર્યો હતો.
