ભારત મોસમ વિજ્ઞાન વિભાગ, અમદાવાદ કેન્દ્ર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા હવામાન બુલેટિન મુજબ, સમગ્ર ગુજરાત રાજ્ય, દીવ, દમણ તેમજ દાદરા અને નાગર હવેલીમાં આગામી સાત દિવસ દરમિયાન હવામાન શુષ્ક રહેવાની ધારણા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહ્યું હતું. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે અમદાવાદ 40.8 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.
તાપમાનમાં વધારાની આગાહી અને સિનોપ્ટિક સ્થિતિ:
હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આગામી ૨૪ કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદના ૩ દિવસોમાં તાપમાન ધીમે ધીમે 2-3 ડિગ્રી જેટલું વધી શકે છે. આ વધારા બાદ ફરીથી તાપમાનમાં 2-3 ડિગ્રી નો ઘટાડો થવાની શક્યતા છે. સિનોપ્ટિક સ્થિતિની વાત કરીએ તો, પશ્ચિમી વિક્ષેપ અને દક્ષિણપશ્ચિમ રાજસ્થાન પર ઉપરી હવાનું ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે, જેની અસર હવામાન પર જોવા મળી રહી છે.
ગરમ અને ભેજવાળી હવાની ચેતવણી:
ખાસ કરીને ૨૪ અને ૨૫ એપ્રિલ (દિવસ-૨ અને દિવસ-૩) દરમિયાન ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગરમ અને ભેજવાળી હવા ફૂંકાવાની શક્યતા છે. આ સ્થિતિને કારણે સામાન્ય જનજીવનમાં અસ્વસ્થતાનો અનુભવ થઈ શકે છે. અમદાવાદ શહેર માટેની આગાહી મુજબ, ૨૪ એપ્રિલના રોજ આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે.
સ્વાસ્થ્ય સુરક્ષા માટે સૂચનાઓ:
હવામાન વિભાગે ‘યલો એલર્ટ’ ધરાવતા વિસ્તારો માટે ખાસ તકેદારી રાખવા સૂચન કર્યું છે. આ ગરમી ખાસ કરીને નવજાત શિશુઓ, વૃદ્ધો અને ક્રોનિક રોગોથી પીડાતા લોકો માટે સ્વાસ્થ્ય સંબંધી ચિંતા પેદા કરી શકે છે. બચાવના ઉપાય તરીકે હળવા, આછા રંગના અને ઢીલા સુતરાઉ કપડાં પહેરવા, માથાને ટોપી કે છત્રીથી ઢાંકવું અને બપોરના સમયે ગરમીના સીધા સંપર્કમાં આવવાનું ટાળવા જેવી સૂચનાઓ આપવામાં આવી છે. આગામી ૩૦ એપ્રિલ સુધી રાજ્યમાં સાર્વત્રિક રીતે હવામાન શુષ્ક રહેવાની જ સંભાવના છે.
